News of Thursday, 21st October 2021
ન્યુયોર્ક : વિશ્વમાં પ્રથમ વખત ડુક્કરની કિડનીનું મનુષ્ય શરીરમાં સફળ આરોપણ કરવામાં ડોક્ટરોને સફળતા મળી છે. એટલુંજ નહીં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતાની સાથે જ ધબકવાનું શરૂ થઇ ગયું હતું. ડુક્કરની કિડની હવે એક બ્રેઈન ડેડ મનુષ્યના શરીરમાં સહજ રીતે કામ કરવા લાગી છે.
ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા અનુસાર, એનવાયયુ લેંગોન હેલ્થમાં આનુવંશિક રીતે બદલાયેલા ડુક્કર અને બ્રેઈન ડેડ માનવ દર્દી વચ્ચે આ પ્રક્રિયા થઈ હતી. ડુક્કરની કિડની મનુષ્યના પેટની બહાર પગના ઉપરના ભાગમાં દર્દીની રક્ત વાહિનીઓ સાથે જોડવામાં આવી હતી. જ્યાં સંશોધકોએ તેને સામાન્ય રીતે કાર્ય કરી રહેલી જોઈ હતી.
એનવાયયુ લેંગોન ટ્રાન્સપ્લાન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડો . રોબર્ટ મોન્ટગોમેરીએ એનવાયટીને જણાવ્યું કે, મારી ધારણા કરતા પણ વધુ સારું પરિણામ મળ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કોઈ જીવિત મનુષ્ય ડોનર પાસેથી મેળવેલી અને ટ્રાન્સપ્લાન્ટ કરેલી કિડની પણ ઘણીવાર તરત જ કામ કરતી નથી, અને તેને શરૂ થવામાં દિવસો કે અઠવાડિયા લાગે છે. પણ આ કામ તરત જ થઇ ગયું. ડુક્કરની કિડની મનુષ્યના શરીરમાં તુરંત કામ કરવા લાગી .
આ શસ્ત્રક્રિયાને હવે તબીબી અને વૈજ્ઞાનિક જગતમાં સીમાચિહ્ન તરીકે બિરદાવવામાં આવી રહી છે- જોન્સ હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિનમાં ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના પ્રોફેસર ડો.ડોરી સેગેવે એનવાયટીને જણાવ્યું કે, આ એક મોટી સફળતા છે. "તે એક ખુબ જ મોટી વાત છે."
જો કે, સેગેવે ઉમેર્યું કે પ્રક્રિયાની અસરકારકતાની પુષ્ટિ કરવા માટે હજુ વધુ સંશોધનની જરૂર છે.
આપણે ટ્રાન્સપ્લાન્ટ અંગના દીર્ધાયુષ્ય વિશે વધુ જાણવાની જરૂર છે .
નિષ્ણાતો એ વાતથી પણ ચિંતિત છે કે દર્દીનું શરીર આખરે નવી કિડનીને નકારી શકે છે. પ્રજાતિઓ વચ્ચે અંગોનું પ્રત્યારોપણ કરવાની પ્રક્રિયાને ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ભૂતકાળમાં માનવ શરીરને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે ચિમ્પાન્ઝી અને ડુક્કર જેવા પ્રાણીઓના અંગો મોટાભાગે બિનઅસરકારક રહ્યા છે, ઘણા લોકો સફળ ટ્રાન્સપ્લાન્ટેશનની ચાવી તરીકે જનીન-સંપાદન તકનીકને જુએ છે.
જોકે ડુક્કરની કિડનીના મનુષ્યના શરીરમાં સફળ રોપણથી કેટલાક નૈતિક પ્રશ્નો પણ ઉભા થાય છે. સામે પક્ષે જો કે, એનવાયટીના જણાવ્યા મુજબ, યુ.એસ. માં દર વર્ષે આશરે 100 મિલિયન ડુક્કરોની પહેલાથી જ કતલ થાય છે. તેથી મનુષ્ય જીવન બચાવવા માટે ડુક્કરની કિડનીનો ઉપયોગ એટલો મોટો નહીં હોય.
સંશોધકો હજુ પણ વધુ ડેટા એકત્રિત કરી રહ્યા છે તેથી પરિણામોનું પેપર પ્રકાશિત કરવાનું બાકી છે -તેમછતાં પ્રાથમિક દ્રષ્ટિએ મળેલી સફળતા ઘણી આશાઓ જગાવે છે.તેવું neoscope દ્વારા જાણવા મળે છે.