Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

આગામી વર્ષમાં ફરવા જવાની ઈચ્છા :સર્વેમાં દાવો

સર્વોમાં શામેલ લગભગ 50 ટકા લોકોએ ગ્લોબલ ટ્રાવેલ જ્યારે 57 ટકા લોકો વેપાર અને બિઝનેસ માટે ટ્રાવેલ કરવાની ઈચ્છા

નવી દિલ્હી : કોરોના મહામારીએ આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. લગભગ તમામ ક્ષેત્રો પર કોવિડ-19 અને તેના કારણે લાદવામાં આવેલા લોકડાઉનની તાતી અસર જોવા મળી છે. ખાસ કરીને ટુરિઝમ ક્ષેત્ર લોકડાઉનને કારણે લગભગ પડી ભાંગ્યુ હોય તેવી સ્થિતી જોવા મળી. હવે જ્યારે કોવિડ-19 કાબૂમાં આવી ગયો છે, દેશમાં જ નહીં પણ વિશ્વ આખામાં રાહત અનુભવાઈ રહી છે, ત્યારે ફરી એકવાર ટૂરિઝમ ક્ષેત્રે નવા પ્રાણ ફુંકાય તેવી શક્યતા દેખાઈ રહી છે.


તાજેતરમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે કોવિડની પરિસ્થિતી કાબૂમાં આવ્યા બાદ 72 ટકા ભારતીયોએ આગામી વર્ષમાં પ્રવાસ કરવા અંગેની ઈચ્છા વ્યક્ત કરી છે. સર્વોમાં શામેલ લગભગ 50 ટકા લોકોએ ગ્લોબલ ટ્રાવેલ એટલે કે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવા અંગેની ઈચ્છા વ્યક્ત કરી છે, જ્યારે 57 ટકા લોકો વેપાર અને બિઝનેસ માટે ટ્રાવેલ (Business Travel) કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યાં છે.

 આ સર્વે ગ્લોબલ ટ્રાવેલ અને ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીને સેવા આપનાર એક આઈટી કંપની એમેડ્યૂસ દ્વારા કરવામાં આવ્યો છે. આગામી વર્ષમાં આંતરરાષ્ટ્રીય કે ડોમેસ્ટીક ટ્રાવેલ કરવા ઈચ્છુક લોકો પ્રવાસ માટે એશિયાને સૌથી વધુ પ્રાથમિકતા રહ્યાં છે.

ભારત, ફ્રાંસ, જર્મની, સ્પેનિશ, રશિયા, સિંગાપોર, યૂએસ, યૂકે અને યૂએઈમાં કરવામાં આવેલા આ સર્વેમાં અંદાજે 9000 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં એક વાત સ્પષ્ટપણે સામે આવી કે કોવિડ 19 મહામારી પછી લોકોમાં ટ્રાવેલિંગ પ્રત્યેના રસમાં વધારો થયો છે.
જો કે હાલ પણ લાદવામાં આવેલા અલગ અલગ રિસ્ટ્રીક્શન અને ગાઈડલાઈન પ્રવાસ ક્ષેત્રે બાધારૂપ બની શકે છે. સર્વેમાં શામેલ 35 ટકા લોકો જે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવા ઈચ્છે છે તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે લાદવામાં આવેલા અલગ અલગ નિયમો અને ગાઈડલાઈન તેમને પ્રવાસ કરવો કે કેમ તે અંગે કન્ફ્યુઝ કરે છે અને તે ટિકીટ બુક કરતા ખચકાય છે.
દેશમાં લગભગ 37 ટકા લોકો જ્યારે સિંગાપોરમાં 40 ટકા લોકોએ આ વાત સાથે સહમતી દર્શાવી કે ગાઈડલાઈનને કારણે તે પ્રવાસ કરતા ખચકાય છે. મહત્વની વાત એ સામે આવી કે મોટાભાગના તમામ લોકોને પોતાની હેલ્થ ડિટેઈલ કે હેલ્થ ડેટા શેર કરવામાં કોઈ વાંધો નથી. હાલ 93 ટકા લોકો પ્રવાસ કરવા માટે પોતાનો હેલ્થ ડેટા સત્તાધીશોને સોંપવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં આ આંકડો 91 ટકા હતો જેમાં 2 ટકાનો વધારો થયો છે.

લોકોના હેલ્થ ડેટા શેર કરવા અંગેની જાણકારી આપતા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં 48 ટકા લોકો બિઝનેસ સંબંધી કોન્ફરન્સ કે ઈવેન્ટમાં હાજર થવા માટે પોતાનો હેલ્થ ડેટા શેર કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે. ભારત અને સિંગાપોરમાં આ આંકડો ક્રમશ: 53 ટકા અને 54 ટકા છે.

એમેડ્યૂસ લેબ્સ (Amadeus Labs) ભારત તરફથી વાત કરતા મણી ગણેશ જણાવે છે કે પ્રવાસને વેગ આપવા માટે ડિજિટલ હેલ્થ વેરિફિકેશન જરૂરી બાબત છે. આની મદદથી પ્રવાસીઓના આત્મવિશ્વાસ અને સારા અનુભવમાં પણ વધારો કરી શકાશે. પ્રવાસ દરમ્યાન લોકોને પડતી મુશ્કેલીમા ઘટાડો કરવા માટે એરલાઈન, એરપોર્ટ અને ઈમીગ્રેશનમાં હેલ્થ પાસપોર્ટનાં ઈન્ટીગ્રેશનની પણ તેમના દ્વારા તરફેણ કરવામાં આવી છે 

(7:04 pm IST)