Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

પુણે શહેરમાં શાળા-કોલેજો બંધ રાખવા માટેનો નિર્ણય

યવતમાલ, અમરાવતી, અકોલા બાદ પુણેમાં કર્ફ્યુ : અનલોક બાદ ફરી કોરોનાના દર્દીઓ વધતા પુણેમાં કર્ફ્યુ, લોકડાઉન જેવા આકરા નિયમ લાગુ કરવામાં આવ્યા છે

પુણે, તા. ૨૧ : મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી રાજ્ય સરકાર દ્વારા કડક પગલા ઉઠાવતા કેટલાક વિસ્તારોમાં નાઇટ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે શુક્રવારે જ મહારાષ્ટ્રના યવતમાલ, અમરાવતી, અકોલાના જિલ્લાના મોટાભાગના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં લોકડાઉન જેવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. જે બાદ રાજ્યમાં મુંબઈ પછીને મોટા શહેર પુણેમાં હવે આકરા નિયમો અને નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. પુણેમાં રાતના ૧૧થી સવારે ૬ દરમિયાન કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે.

રાજ્યના ઉપમુખ્યમંત્રી અને જિલ્લાના પાલકમંત્રી અજિત પવારની ઉપસ્થિતિમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પુણેમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાને રાખીને સોમવારથી શહેરમાં રાત્રીના ૧૧થી સવારના ૬ વાગ્યા સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેમજ સ્કૂલો અને કોલેજોને આગામી ૨૮ ફેબ્રુઆરી સુધી બંધ રાખવામાં આવ્યા છે. તેમજ ખાનગી ટ્યુશનોને પણ આપવામાં આવેલી પરવાનગીઓ રદ કરવામાં આવી છે. હા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા ક્લાસ ૫૦ ટકાની ક્ષમતા સાથે શરું રહેશે.

હોટેલ તેમજ અન્ય વેપારી સંસ્થાઓને મોડી રાત સુધી ખુ્લા રહેવાની આપવામાં આવેલી પરવાનગીઓ રદ કરવામાં આવશે. લગ્ન સમારંભ, સમાજીક અને રાજકીય કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કાર્યક્રમ માટે ૨૦૦ વ્યક્તિઓને પરવાનગી માટે પોલીસની મંજૂરી લેવી પડશે. આ અંગેની માહિતી વિભાગીય આયુક્ત સૌરભ રાવે આપી હતી.

જોકે પુણેમાં લાગુ કરવામાં આવેલા આ કર્ફ્યુને લઈને તંત્રે સ્પષ્ટ કર્યું છે કે તે ફક્ત શહેરી મર્યાદા પૂરતો જ છે. જિલ્લામાં પ્રવાસ કરતા અન્ય વાહનો પર તેની અસર રહેશે નહી. શાકભાજી સહિતની જરુરી ચીજવસ્તુઓનું વહન કરતા વાહનોને મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ પુણેમાં કોરોના રસીકરણનો કાર્યક્રમ તેના નિર્ધારીત રીતે જ આગળ વધારવામાં આવશે. તો બીજી તરફ કોરોના કેસ વધવાની શક્યતાને લઈને બંધ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટરને ફરી શરું કરવામાં આવશે. તેમજ કોરોનાના પ્રભાવને ઓછો કરવા માટે કન્ટેન્મેન્ટ ઝોન વધારવામાં આવશે.

(12:00 am IST)