Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

મહારાષ્ટ્ર : આજથી કડક પ્રતિબંધો લાગુ : લગ્ન સમારોહ ૨૫ લોકો સાથે ૨ કલાકમાં પુરો કરવો

લોકલટ્રેન,મોનો અને મેટ્રોનો ઉપયોગ સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને લોકલ ઓથોરિટીના સ્ટાફની સાથે સાથે ડોકટર અને જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો જ કરી શકશે

મુંબઇ,તા. ૨૨:  કોરોના વાયરસનું સંક્રમણ મહારાષ્ટ્રમાં કેર વર્તાવી રહ્યું છે. સ્થિતિ એવી છે કે મહારાષ્ટ્રની ઉદ્ઘવ ઠાકરે સરકાર તરફથી લાગુ કરાયેલા પ્રતિબંધો છતાં સંક્રમણના કેસમાં જરાય કમી જોવા મળી રહી નથી. આવામાં કોરોનાની ચેન તોડવા માટે ઉદ્ઘવ સરકારે ૨૨ એપ્રિલથી ૧ મે સુધી સમગ્ર રાજયમાં પ્રતિબંધો કડક કરવાનો આકરો નિર્ણય લીધો છે. જે હેઠળ રાતે ૮ વાગ્યાથી લઈને સવારે ૭ વાગ્યા સુધી એકદમ કડકાઈ રહેશે. આ દરમિયાન બીજા જિલ્લામાં એવા લોકો જ જઈ શકશે જેમની પાસે કોઈ જરૂરી કારણ હોય.

મહારાષ્ટ્રમાં ૨૨ એપ્રિલથી એક મે સુધી લાગુ પ્રતિબંધોમાં ઉદ્ઘવ સરકારે અનેક પ્રકારના નવા પ્રતિબંધો પણ સામેલ કર્યા છે.

  • કયાં કયાં પ્રતિબંધો લાગુ ?

(૧) તમામ કેન્દ્ર અને રાજય તથા સ્થાનિક સરકારી ઓફિસો ૧૫ ટકાની ક્ષમતા સાથે ચાલશે. જો મંત્રાલય કે પછી કેન્દ્રીય સરકારી ઓફિસમાં વધુ એટેન્ડેન્સની જરૂર હોય તો તેના માટે મહારાષ્ટ્ર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઈઓ પાસેથી પરમિશન લેવી પડશે.

(૨) લગ્ન સમારોહમાં ફકત ૨૫ લોકો જ સામેલ થઈ શકશે. લગ્ન સમારોહ ફકત ૨ કલાકમાં પતાવવાનો રહેશે. નિયમનો ભંગ કરનારા વિરૂદ્ઘ ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

(૩)  પ્રાઈવેટ બસો ૫૦ ટકાની ક્ષમતા સાથે ચલાવી શકાશે. આ દરમિયાન કોઈ પણ મુસાફર ઊભા રહીને પ્રવાસ કરી શકશે નહીં.

(૪) પ્રાઈવેટ બસો એક જિલ્લામાંથી બીજા જિલ્લા અને એક શહેરમાંથી બીજા શહેરમાં જઈ શકશે નહીં. જરૂરી સર્વિસ સાથે સંકળાયેલા કે કોઈ ઈમરજન્સી માટે જઈ શકાશે. જો કોઈ આ નિયમ ફોલો નહીં કરે અને ભંગ કરતા જણાશે તો તેના પર ૧૦ હજારનો દંડ લાગશે.

(૫) એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બસ દોડાવવા માટે લોકલ ઓથોરિટીને જાણ કરવી પડશે. જે પણ મુસાફર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જશે તેને કાયદેસર રીતે ૧૪ દિવસનો કવોરન્ટિન સ્ટેમ્પ લગાવવામાં આવશે. જો કે લોકલ ઓથોરિટીને એ અધિકાર આપવામાં આવ્યો છે કે કવોરન્ટિન સ્ટેમ્પ લગાવવાનો નિર્ણય તેઓ લઈ શકે.

(૬) લોકલટ્રેન,મોનો અને મેટ્રોનો ઉપયોગ સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને લોકલ ઓથોરિટીના સ્ટાફની સાથે સાથે ડોકટર અને જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો જ કરી શકશે.

(૭) લોકલ ટ્રેનનો મેડિકલ ઉપયોગ માટે પણ ઉપયોગ થઈ શકે છે. આ સાથે જ જે વ્યકિતને મેડિકલ ઈમરજન્સી છે તે વ્યકિત સાથે જે પણ હાજર રહેશે તેને પણ મંજૂરી મળશે.

(૮) કરિયાણું, શાકભાજી, ફળ ફળાદિ, બેકરી, કન્ફેકશનરી, ચિકન, મટન, માછલી, ઈંડા સહિત તમામ પ્રકારની ખાદ્ય સામગ્રી, કૃષિ ક્ષેત્ર સંલગ્ન વસ્તુઓની દુકાનો, પાલતુ પશુઓના ભોજન સંબંધિત દુકાનો, વરસાદ સંબંધિત સામાનની દુકાનો સવારે સાતથી ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

(૯)આવી દુકાનોથી હોમ ડિલિવરી સવારે સાત વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધી થઈ શકશે. પરંતુ સ્થાનિક પ્રશાસન જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકે છે.

(10:23 am IST)