News of Tuesday, 22nd June 2021
નવી દિલ્હી,તા. ૨૨:કોરોના વાયરસના નવા ડેલ્ટા વેરિઅન્ટને કારણે રસી પણ બિનઅસરકારક હોઈ શકે છે. આ દહેશત વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેના લીધે સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોના સંકટની કટોકટી ઉભી થઈ છે. ડબ્લ્યુએચઓ એ જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિઅન્ટને લીધે રસીની અસર પણ ઓછી થતી હોય તેવું લાગે છે. રસીના કારણે કોરોનાની અસર વધુ ગંભીર થઈ રહી નથી અને તે મૃત્યુ જેવી પરિસ્થિતિ સામે રક્ષણ આપવામાં અસરકારક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કોરોના આવા નવા મ્યુટન્ટ્સ પણ સક્રિય થઈ શકે છે, જેના કારણે રસીની અસર ઓછી થઈ શકે છે.
ડેલ્ટા વેરિઅન્ટનું પરિવર્તન ડેલ્ટા પ્લસ વેરિઅન્ટમાં પરિણમે છે. ડેલ્ટા વેરિઅન્ટ પ્રથમ વખત ફક્ત ભારતમાં જ જોવા મળ્યો હતો. એવું માનવામાં આવે છે કે આને કારણે દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી હતી. ડેલ્ટા વેરિએન્ટથી બ્રિટન સહિતના અન્ય દ્યણા દેશોમાં પણ વિનાશ જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં ડેલ્ટા વેરિએન્ટના ૨૧ કેસ નોંધાયા છે. રાજયના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે આ માહિતી આપી છે. કેરળમાં પણ ડેલ્ટા પ્લસના ઓછામાં ઓછા ત્રણ કેસ નોંધાયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેરળના પલક્કડ અને પઠાણમિતિટ્ટા જિલ્લામાંથી એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓમાં ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટના ઓછામાં ઓછા ત્રણ કેસ મળી આવ્યા છે.
ડેલ્ટા પ્લસ એ કોરોના વાયરસનો સૌથી ખતરનાક પ્રકાર છે એવુ માનવામાં આવી રહ્યું છે. આલ્ફા, બીટા, ગામા અને કોરોના વાયરસનો ડેલ્ટા, અત્યાર સુધીમાં આ ચાર પ્રકારો બહાર આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ ચાર પ્રકારો વિશે માહિતી આપવામાં આવી છે. આમાં સૌથી ખતરનાક ડેલ્ટા વેરિઅન્ટ જે ભારતમાં પણ જોવા મળ્યો છે. ડેલ્ટા વેરિઅન્ટ કોરોના વાયરસની બીજી લહેરમાં વિનાશ કર્યો છે.