Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કોરોના રસીકરણમાં ટુંક સમયમાં થશે પ્રાઇવેટ સેકટરની એન્ટ્રી

તેજગતિએ વધતા કોરોનાના કેસથી સરકારની ચિંતામાં વધારો

નવી દિલ્હી તા. ૨૩ : મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ પંજાબ અને મધ્યપ્રદેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આરોગ્ય મંત્રાલયને કોરોના રસીકરણ ઝડપી બનાવવા જણાવ્યું છે. કેન્દ્ર સરકાર હવે ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી લાગુ કરવાની દિશામાં પગલા લેવા જઈ રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર દેશના લગભગ ૨૭ કરોડ લોકોને રસીકરણ માટે પ્રાઈવેટ સેકટરનો આશરો પણ લેશે જેથી ટૂંક સમયમાં રસીકરણ અભિયાન પૂર્ણ થઈ શકે. આ તબક્કામાં ૫૦ વર્ષથી ઓછી વયના લોકોનો પણ સમાવેશ કરવામાં આવશે જેમને કોરોના ચેપ થવાની સંભાવના છે.

નીતિ આયોગના સભ્ય ડો.વી.કે. પોલ કહે છે કે કોરોના રસીકરણમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકાની સંપૂર્ણ વિગતો આગામી કેટલાક દિવસોમાં ઉપલબ્ધ થશે. ડો.પોલે કહ્યું કે, આ સમયે પણ આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટલાઈન કામદારોની રસીકરણમાં ખાનગી ક્ષેત્ર મુખ્યત્વે સામેલ છે. ૧૦ હજાર રસીમાંથી ૨ હજાર રસી ખાનગી કંપનીઓમુકી રહી છે. જેમ જેમ આપણે રસીકરણ ઝુંબેશને વેગ આપીએ છીએ તેમ ખાનગી ક્ષેત્રની ભૂમિકા વધુ ગહન થશે. ડો પોલના જણાવ્યા અનુસાર, કોરોના રસીકરણ અભિયાનમાં ખાનગી ક્ષેત્રની મોટા પાયે ભાગીદારી જરૂરી બનશે કારણ કે વસ્તીના વધુમાં વધુ વર્ગ રસીકરણ માટે પાત્ર બની જશે. હાલમાં ફકત હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન મેડિકલ સ્ટાફને રસી આપવામાં આવી રહી છે.

એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, આગામી તબક્કામાં સરકારની દરરોજ ૫૦ હજાર લોકોને રસી આપવાની યોજના છે. આજ સુધીમાં દેશભરમાં ૧.૦૭ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારો રસી અપાઈ છે. સૂત્રએ જણાવ્યું હતું કે આગામી તબક્કામાં આશરે ૪૦થી ૫૦ ટકા રસીકરણ ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવશે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેન્દ્રશાસિત પ્રદેશો લક્ષદ્વીપમાં ૭૫ ટકાથી વધુ આરોગ્ય અને આગળના કામદારો રસી અપાઈ છે. કેન્દ્ર સરકારે રાજયોને કોરોના રસીકરણની ગતિ વધારવા જણાવ્યું છે.

(11:01 am IST)