Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ઓકિસજનની ડિમાન્ડ કરી તો કેન્દ્રિય મંત્રીએ ધમકાવ્યો...'શાંતિ રાખ, નહીંતર બે લાફા પડશે'

દર્દીના દીકરાએ મોદી સરકારના મંત્રીને સામો જવાબ આપતા કહ્યું, 'હા, હું બે લાફા ખાઈ લઈશ.. મારી મા હોસ્પિટલમાં પડી છે અને તેને ઓકિસજન નથી અપાઈ રહયો' : કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રી પોતાના મત ક્ષેત્રમાં આવેલી કોવિડ હોસ્પિટલની મુલાકાતે હતા : લોકોએ મંત્રીને દ્યેરી વળીને ઓકિસજન તેમજ રેમડેસિવિરની અછત હોવાની રજૂઆત કરી : અકળાયેલા મંત્રીએ એક વ્યકિતને કહ્યું, 'આ રીતે વાત કરીશ તો બે પડશે..'

ભોપાલ, તા.૨૩: કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રી પ્રહલાદસિંહ પટેલ ઓકિસજનની માગ કરી રહેલા એક વ્યકિતને 'બે લાફા પડશે'...તેવું કહેતા કેમેરામાં ઝડપાયા છે. પટેલ મધ્યપ્રદેશના સાંસદ છે. તેઓ પોતાના મતવિસ્તાર દામોહમાં એક કોવિડ હોસ્પિટલની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જયાં લોકોએ તેમન ઘેરી લીધા હતા, અને હોસ્પિટલમાં ઓકિસજન, રેમડેસિવિર ઈન્જેકશન સહિતની વ્યવસ્થા ના હોવાની ફરિયાદ કરી હતી.

મંત્રીને ઘેરીને લોકો રજૂઆત કરી રહ્યા હતા તે વખતે એક વ્યકિત ઉગ્ર બની ગયો હતો, અને તેણે કહ્યું હતું કે હોસ્પિટલમાં દર્દીઓને આપવા ઓકિસજન પણ નથી. તેણે મંત્રી સમક્ષ ઓકિસજનની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી હતી. જેનાથી ગુસ્સે થઈ ગયેલા મંત્રીએ તેને ધમકી આપતા કહ્યું હતું કે, આવી રીતે વાત કરીશ તો બે લાફા પડશે..

મંત્રીએ બે લાફા મારવાની વાત કરી તો સામેવાળા વ્યકિતએ પણ એવો જવાબ આપ્યો હતો કે, બે, લાફા ખાઈ લઈશ.. મારી માતા આ હોસ્પિટલમાં પડી છે..લૃ મામલો ગરમાતા ઢીલા પડેલા પટેલે ત્યારબાદ કહ્યું હતું કે, અહીં કોણ તમને ઓકિસજન માટે ના પાડે છે? વિડીયો અંગે પ્રતિક્રિયા આપતા પટેલના કાર્યાલયે જણાવ્યું હતું કે મંત્રીએ ધમકી આપી હોવાની વાત ખોટી છે. તેઓ તો તે વ્યકિતને શાંતિથી વાત કરવા માટે કહી રહ્યા હતા.

આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં લોકોએ સોશિયલ મીડિયા પર મંત્રીની ટીકા કરવાનું શરુ કર્યું હતું. જે વ્યકિતને પ્રહલાદસિંહ પટેલે બે લાફા મારવાની ધમકી આપી હતી તેની માતા હોસ્પિટલમાં એડમિટ છે. તેણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, હોસ્પિટલવાળા માંડ પાંચ મિનિટ ઓકિસજન આપે છે. ત્યારબાદ દર્દીઓ શ્વાસ લેવા માટે તરફડતા રહે છે.

એમપીના દામોહમાં પેટાચૂંટણી યોજાવાની હોવાથી અહીં કરફ્યૂ કે બીજા કોઈ નિયંત્રણ લાદવામાં નથી આવ્યા. ૧લી એપ્રિલથી ૨૨ એપ્રિલ સુધી અહીં કોરોનાના એકિટવ કેસોમાં ૭૦૦ ટકાનો જોરદાર ઉછાળો થઈ ચૂકયો છે. મહિનાની શરુઆતમાં દામોહમાં માંડ ૧૧૬ એકિટવ કેસ હતા, જે હવે વધીને એક હજારને આંબવાની તૈયારીમાં છે. બે દિવસ પહેલા જ અહીં સરકારી હોસ્પિટલમાં ઓકિસજન સિલિન્ડર લઈને આવેલી ટ્રકને લોકોએ લૂંટી લીધી હતી. ત્યારબાદ અહીં સ્ટોર રુમ આગળ પોલીસનો પહેરો ગોઠવી દેવાયો છે.

દેશના અન્ય રાજયોની માફક સમગ્ર મધ્ય પ્રદેશની હોસ્પિટલોમાં પણ ઓકિસજનની જોરદાર તંગી ચાલી રહી છે. અત્યારસુધી ઓકિસજન સપ્લાય અટવાઈ જવાના કારણે જુદી-જુદી હોસ્પિટલોમાં ૨૦ દર્દીઓના મોત થઈ ચૂકયા છે.

(3:53 pm IST)