Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ભાજપ નેતાની કોવિડ પ્રોટોકોલના ઉલ્લંઘન બદલ ઉદ્ધવ સામે ફરિયાદ

સીએમઓના એક અધિકારી દ્વારા જાણકારી અપાઈ : ઉદ્ધવ ઠાકરેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો, સીએમએ વેબકાસ્ટ દરમિયાન પણ સંક્રમિત હોવાની પુષ્ટિ કરી હતી

મુંબઈ, તા.૨૩ : ભાજપ નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે.

મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)ના એક અધિકારી દ્વારા બુધવારે જાણકારી આપવામાં આવી હતી કે, સીએમ ઉદ્ધવ ઠાકરેનો કોવિડ ટેસ્ટ બાદ રિપોર્ટ કોવિડ પોઝિટીવ આવ્યો હતો. સીએમએ બુધવારે પોતાના વેબકાસ્ટ દરમિયાન પણ સંક્રમિત હોવાની પુષ્ટિ કરી હતી.

જોકે, ત્યારબાદ બુધવારે રાત્રે ઉદ્ધવ ઠાકરે સીએમ આવાસ છોડીને માતોશ્રી ચાલ્યા ગયા હતા. આ દરમિયાન માતોશ્રી પહોંચ્યા બાદ તેઓ ગાડીમાંથી બહાર નીકળીને પોતાના સમર્થનોનું અભિવાદન કરતા નજર આવ્યા હતા.

આવી સ્થિતિમાં બીજેપી નેતા તજિંદર બગ્ગાએ સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ મુંબઈના માલાબાર હિલ પોલીસ સ્ટેશનમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવા અને લોકો સાથે મુલાકાત કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. તજિંદર બગ્ગાએ પોલીસને કરેલી ફરિયાદની એક તસવીર પણ ટ્વીટ કરી છે.

ફરિયાદમાં જણાવ્યું  હતું કે, કોવિડ પ્રોટોકોલ પ્રમાણે દર્દી કોઈ પ વ્યક્તિને ન મળી શકે અને તેમણે આઈસોલેશનમાં રહેવુ જોઈએ... સીએમ ઉદ્ધવ ઠાકરેએ કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંધન કર્યું છે અને પોતાના સમર્થકો સાથે મુલાકાત કરી છે. ભાજપ નેતા અમિત માલવીયે પણ ઉદ્ધવ ઠાકરે દ્વારા કોવિટ પ્રોટોકોલના ઉલ્લંઘન પર સવાલ ઉઠાવ્યો હતો.

તેમણે ટ્વીટ કર્યું કે, અમને જણાવવામાં આવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે કોવિડ સંક્રમિત થયા છે પરંતુ તેઓ ત્યારથી શરદ પવારને તેમના આવાસ પર મળ્યા અને લોકો વચ્ચે ચાલ્યા ગયા હતા.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ હાવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે, બાદમાં જણાવ્યું કે, તેમણે આરટીપીસીઆરટેસ્ટ કરાવ્યો હતો અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 

 

(8:04 pm IST)