Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મહારાષ્ટ્રના સમગ્ર ચિપલૂન પૂરના પાણીમાં ગરકાવ :ભીષણ પૂરમાં આખું શહેર ડૂબ્યું : રેડ એલર્ટ જારી

કાર અને ઇમારતોને પાણીએ કબજે કરી લીધી: ઘણા સ્થળોએ પાણી પહેલા માળ સુધી વધ્યું :લોકો ઘરોમાં ફસાયા

મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી મહારાષ્ટ્રના ચિપલૂન શહેરમાં ભીષણ પૂર આવ્યું છે. શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. ત્યાં સુધી કે બસ ડેપો સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. શહેરના રહેવાસીઓએ તેમને સલામત સ્થળોએ ખસેડવા માટે ટ્વિટર પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પાસે મદદ માંગી છે. કેટલાક લોકોએ પરિસ્થિતિની તુલના 2005માં મુંબઈમાં આવેલા વિનાશક પૂર સાથે કરી હતી, જેમાં ઓછામાં ઓછા 450 લોકો મૃત્યુ પામ્યા હતા. ચિપલૂન શહેરના ફોટા અને વીડિયો સામે આવી રહ્યા છે, તેમાં આખું શહેર ડૂબી ગયું છે. કાર અને ઇમારતોને પાણીએ પોતાને કબજે કરી લીધી છે. ઘણા સ્થળોએ પાણી પહેલા માળ સુધી વધ્યું છે. લોકો તેમના ઘરોમાં ફસાયા છે.

સહાય અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે કહ્યું કે રત્નાગિરી જિલ્લામાં અતિશય વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, પાણી ભરવાના કારણે ચિપલૂન શહેરમાં હાઈવે પરનો ટ્રાફિક અટવાઈ ગયો છે, એનડીઆરએફની બે ટીમો મોકલવામાં આવી છે, આ સિવાય કોસ્ટગાર્ડ બોટ દ્વારા લોકોને રેસક્યું કરવામાં આવી રહ્યા છે, બચાવ કાર્યમાં કોઈપણ પ્રકારની કમી રાખવામાં આવશે નહીં. અકોલામાં પણ ભારે વરસાદને કારણે કહેર સર્જાયો હતો, માત્ર ત્રણથી ચાર કલાકના વરસાદથી જિલ્લાના લગભગ તમામ નદીઓના પાણી ભરાયા છે. લગભગ 2000 મકાનો પાણીમાં ડૂબી ગયા હતા. નદીઓમાં પૂરને કારણે શહેરના ઘણા વિસ્તારો ડૂબી ગયા છે. જિલ્લા વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

જિલ્લા વહીવટીતંત્રની આ બચાવ કામગીરીમાં ખામી પણ નજરે પડે છે. બોટ ક્યારેક-ક્યારેક બંધ થવાને કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેડુતોના ઉભો પાક બરબાદ થઈ ગયા છે. કેટલાક સ્થળોએ કાચા-પાકા મકાનોને નુકસાન પહોંચ્યું હતું. આ સાથે ખેડૂતોના પશુઓએ પણ જીવ ગુમાવવો પડ્યો હતો. અકોલા શહેરના ફુલેશ્વર, શાસ્ત્રી નાગર અને નુતન નગરમાં 4 થી 5 ફૂટ સુધી પાણી ઘરોમાં ઘૂસી ગયું છે. જો કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અનેક લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે તો કેટલાક લોકો ઘરમાં જ ફસાયેલા છે. તંત્રએ આગામી 2 દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરતાં સતર્ક રહેવાના આદેશ આપ્યા છે.

જ્યારે, સિંધુદુર્ગ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. સવારથી વરસાદને પગલે કુડાલ તહસીલનો અંબેરી પુલ ડૂબી ગયો છે. આને કારણે, 27 ગામો સાથેનો સંપર્ક ખોરવાઈ ગયો છે. જ્યારે, સાવંતવાડી તહસીલદાર રાજારામ મ્હાત્રેએ જણાવ્યું હતું કે સાવંતવાડી તહસીલમાં શિરશિંગે બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે. જેના કારણે શિરશિંગે ગામનો સંપર્ક ખોરવાઈ ગયો છે.

હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. મુંબઈના આઈએમડીના એક હવામાનશાસ્ત્રીએ કહ્યું કે 21 જુલાઇ માટે અમે પહેલાથી જ ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદના સંકેત આપવામાં આવ્યા હતા, હવે બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ બંને કાંઠાના જિલ્લામાં અવિરત વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન ઠાકરેએ જણાવ્યું હતું કે હવામાન વિભાગ (આઈએમડી) એ આગામી ત્રણ દિવસ માટે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તેમણે અધિકારીઓને સચેત રહેવા અને વહેતી નદીઓના સ્તર પર નજર રાખવા અને રહેવાસીઓને સલામત સ્થળોએ ખસેડવા જણાવ્યું હતું.

(11:49 pm IST)