Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં વધતો પોઝિટિવિટી રેટ બની શકે છે ત્રીજી લહેરનું કારણ

દેશમાં પાછલા એક મહિનાથી પોઝિટિવિટી રેટ ૩% કરતા નીચો રહ્યો છે જયારે કેટલાક જિલ્લાઓમાં સ્થિતિ બેકાબૂ બની રહી છે : ત્રીજી લહેરને અટકાવવા માટે દેશના કેટલાક રાજયોએ કાળજી લેવી જરૂરી : રાજયોને પોઝિટિવિટી રેટ ઘટાડવા જરૂરી પગલા ભરવાનું કેન્દ્રનું સૂચન : રાજસ્થાનના જેસલમેરમાં પોઝિટિવિટી રેટ સૌથી વધુ ૪૧% પર પહોંચ્યો

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના નવા કેસ થયેલો ઘટાડાની અસર જોવા મળી રહી છે. બીજી લહેરની સમાપ્તિ પછી જે રીતે નવા કેસની સંખ્યા ૪૦ હજારની નજીક પહોંચી છે તેને જોતા લોકો ઘણી રાહત અનુભવી રહ્યા છે. જોકે, આ બધાની વચ્ચે કેટલાક રાજયોમાં વધતા કેસ ચિંતા વધારી રહ્યા છે. કેટલાક રાજયોમાં વધતો પોઝિટિવ રેટ ચિંતાનું કારણ બની રહ્યો છે.

ભારતમાં સળંગ પાછલા એક મહિનાથી પોઝિટિવિટી રેટ ૩% કરતા નીચો રહ્યો છે. જોકે, કેટલાક રાજયો જેવા કે કેરળ, મણિપુર, રાજસ્થાન, મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયાના ઘણાં જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ ૧૦% કરતા ઊંચો નોંધાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ચિંતા વ્યકત કરી છે કે જો આ માઈક્રો લેવલ પર કોરોનાને અટકાવવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા તો તે ત્રીજી લહેરનું કારક બની શકે છે.

આ સાથે મુખ્ય રાજયો કે જયાં કોરોનાના એકિટવ કેસમાં વધારો થઈ રહ્યો છે તેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થઈ રહ્યો છે. ૧૪થી ૨૦ જુલાઈ વચ્ચેના ઓફિશિયલ આંકડા પર નજર કરીએ તો મહારાષ્ટ્રના ૪૭ જિલ્લા એવા છે કે જયાં પોઝિટિવિટી રેટ ૧૦% કરતા ઊંચો જઈ રહ્યો છે, જયારે ૫ જિલ્લાઓમાં તે ૫-૧૦% વચ્ચે છે.રાજસ્થાનના જેસલમેરમાં પોઝિટિવિટી રેટ સૌથી વધુ ૪૧્રુ નોંધાયો છે. આ સિવાય અન્ય જિલ્લાઓની વાત કરીએ તો સવાઈ માધવપુર, બરન, જલવર, ટોંક અને રાજસમંદમાં પણ પોઝિટિવિટી રેટ ઊંચો નોંધાઈ રહ્યો છે. કેરળના મલ્લાપુરમ, કાસરાગોડ, કોઝિહકોડ, પલક્કડ અને થિસ્સુરમાં પણો પોઝિટિવિટી રેટ ઊંચો નોંધાયો છે.

સિક્કિમના દક્ષિણ જિલ્લામાં અને નાગાલેન્ડના કોહિમામાં પણ પોઝિટિવિટી રેટ ૩૦% પર પહોંચ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ રાજયો અને જિલ્લાઓ પર વધારે ધ્યાન આપીને આક્રામક રીતે ટેસ્ટિંગ વધારવા તથા કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરીને પગલા ભરવા અંગે જણાવ્યું છે. આ સાથે રેપિડ એન્ટિજન ટેસ્ટની સાથે દરેક રાજયોને RT-PCR ટેસ્ટ પણ વધારવા માટેની સલાહ આપી છે. કારણ કે આ ટેસ્ટથી કોરોનાના દર્દીઓને ઝડપથી ઓળખી શકાય છે.

(11:35 am IST)