Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ગુસ્સે ભરાયેલ ચીને પાક.માં ચાલતા ઘણા પ્રોજેક્ટ્સ રોક્યા

પાકિસ્તાનીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા : ખૈબર પખ્તુનખ્વામાં થયેલા વિસ્ફોટમાં ચીની એન્જિનિયરોના મોતની ઘટના પાકિસ્તાન માટે મોટી મુસીબત બની ગઈ છે

ઈસ્લામાબાદ, તા.૨૩ : ખૈબર પખ્તુનખ્વામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચીની એન્જિનિયરોના મોતની ઘટના પાકિસ્તાન માટે મોટી મુસીબત બની ગઈ છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાન ચીનને ઘૂંટણિયે પડીને ગુહાર લગાવી ચૂક્યા છે, પરંતુ ચીનનો ગુસ્સો ઓછો થવાનું નામ લેતો નથી. આ આતંકી હુમલાથી નારાજ ચીને પાકિસ્તાનમાં ચાલતા અનેક પ્રોજેક્ટ્સનું કામ અટકાવ્યું છે. એટલું જ નહીં ચીને દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા  પાકિસ્તાની કર્મચારીઓને પણ કાઢી મૂક્યા છે.

પોતાના ૯ એન્જિનિયરોના મોત બાદ ચીને મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ પર કામ મુદ્દે બનાવવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિઓની બેઠકોને સ્થગિત કરી છે. આ ઉપરાંત અરબો ડોલરના ખર્ચે બની રહેલો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પણ હાલ મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે પોતાના નાગરિકોની સુરક્ષા માટે પણ પાકિસ્તાનને ચીન પૈસા આપે છે પરંતુ આમ છતાં હુમલામાં તેના એન્જિનિયરોના મોતથી ચીન બરાબર ધૂંધવાયું છે.

પાકિસ્તાને આતંકી હુમલાને અકસ્માતમાં ખપાવવાની ભરપૂર કોશિશ કરી જેથી કરીને ચીનના પ્રકોપથી બચી શકાય પરંતુ તે નિષ્ફળ રહ્યું.

અત્રે જણાવવાનું કે ગત સપ્તાહે ચીનના નેતૃત્વવાળા દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા તેના ૯ એન્જિનિયરોના મોત થયા હતા. આ એન્જિનયરો બસમાં બેસીને સાઈટ પર જઈ રહ્યા હતા. તે સમયે જોરદાર વિસ્ફોટ થયો ને બસ નહેરમાં ખાબકી. આતંકવાદના મામલાના જાણકાર ફખર કાકાખેલે કહ્યું કે નિશ્ચિત રીતે આ ધડાકો એટલા માટે કરવામાં આવ્યો જેથી કરીને ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર જેવા મેગા પ્રોજેક્ટને બાધિત કરવામાં આવી શકે.

ફખર કાકાખેલે વધુમાં કહ્યું કે અત્યાર સુધીમાં બલૂચિસ્તાનના બહારના વિસ્તારોમાં પ્રોજેક્ટ્સને નિશાન બનાવવામાં આવતા હતા પરંતુ આવું પહેલીવાર થયું છે કે જ્યારે આવી કોઈ ઘટનામાં ચીનના લોકોને નુકસાન થયું છે. આ નિશ્ચિતપણે ચિંતાનો વિષય છે. આ બા-જુ દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સાથે જોડાયેલા પાકિસ્તાની નાગરિકોના એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યા છે. વિપક્ષના નેતા ઈશાક ડારે એક ટ્વીટ કરીને કહ્યું કે ચીને પાકિસ્તાનીકર્મીઓને કાઢી મૂક્યા છે. તેમણે ઈમરાન ખાન પર નિશાન સાધતા કહ્યું કે જે કઈ  થઈ રહ્યું છે તે પાકિસ્તાન માટે સારું નથી

(7:57 pm IST)