Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

વરિષ્ઠ IAS અધિકારી લાલુ પ્રસાદ યાદવની થૂંકદાની પકડતા હતા : ઉમા ભારતી

નેતાઓની થૂંકદાનીને બદલે પેન અને ફાઈલો પર ધ્યાન આપવા માટે કરી ટકોરઃ અધિકારીઓને આપી રાજકારણીઓના દ્યરદ્યાટી નોકર ના બનવાની સલાહ : એક સમયે જે અધિકારીઓ મારી આગળ-પાછળ ફરતાં હતાં તે સત્તા જતાં જ મારા પડછાયાંથી પણ દૂર ભાગવા લાગ્યા

ભોપાલ, તા.૨૩: એમપીના ભૂતપૂર્વ સીએમ તેમજ ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ સનદી અધિકારીઓને રાજકારણીઓના ઘરઘાટીના બનવાની સલાહ આપતા કેટલાક ચોંકાવનારા દાવા કર્યા છે. થોડા દિવસ પહેલા જ ઉમા ભારતીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમણે એવું જણાવ્યું હતું કે અધિકારીઓની કોઈ ઔકાત નથી, અને તેઓ રાજકારણીઓના ચપ્પલ પણ ઉપાડે છે. પોતાના આ નિવેદન પર ખેદ વ્યકત કર્યાના ગણતરીના સમયમાં જ તેમણે ઉપરાછાપરી કેટલાક ટ્વીટ કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૦૦માં તેમણે એક IAS અધિકારીને લાલુ પ્રસાદ યાદવની થૂકદાની હાથમાં પકડતા જોયા હતા.

એક પછી એક કરેલા પોતાના ટ્વીટમાં ઉમા ભારતીએ જણાવ્યું છે કે, વર્ષ ૨૦૦૦માં તેઓ અટલજીની સરકારમાં પ્રવાસન મંત્રી હતાં ત્યારે બિહારના તત્કાલિન સીએમ રાબડી દેવી અને તેમના પતિ લાલુ પ્રસાદ યાદવ સાથે પટણાથી બોધીગયા હેલિકોપ્ટરમાં જઈ રહ્યાં હતાં. તે વખતે તેમની સામેની સીટ પર બિહારના એક વરિષ્ઠ આઈએએસ અધિકારી પણ બેઠા હતા. તે વખતે લાલુ પ્રસાદ યાદવ હેલિકોપ્ટરમાં જ થૂંકદાનીમાં થૂંકયા, અને પછી થૂંકદાનીને વરિષ્ઠ IASના હાથમાં પકડાવી દઈ તેને વિન્ડો નીચે મૂકવા કહ્યું.

આ ટ્વીટ્સને જ આગળ વધારતા તેમણે લખ્યું છે કે, લાલુના કહેવા પર તે અધિકારીએ થૂંકદાની પોતાના હાથમાં પકડીને તેને નીચે મૂકી પણ દીધી. આ જ બાબતને તેમણે ૨૦૦૫-૦૬માં પોતાને બિહારના પ્રભારી બનાવાયાં ત્યારે મુદ્દો બનાવી. તેમણે લખ્યું છે કે, તેમણે બિહારના અધિકારીઓને અપીલ કરી હતી કે તમે આમની થૂંકદાની ઉપાડો છો, કાલે અમારી પણ ઉઠાવવી પડશે. પોતે અધિકારીઓને થૂંકદાનીને બદલે પેન અને ફાઈલો પર ધ્યાન આપવા ટકોર કરી હતી.

એક ટ્વીટમાં તેમણે એમ પણ લખ્યું છે કે, બિહારમાં સત્તા પલ્ટી ગઈ હતી, નીતિશ કુમારના શપથગ્રહણ બાદ હું એમપી પરત ફરી ત્યારે બાબુલાલ ગૌર સીએમ હતા, પરંતુ મારા દ્યરે જ લગભગ તમામ અધિકારીઓની ભીડ થતી હતી, જેનાથી મને શરમ આવતી હતી. પરંતુ બિહારથી આવતાં જ મને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવી, બાબુલાલ ગૌર પણ હટી ગયા. ત્યારપછી તો એમપીના કોઈ રેસ્ટ હાઉસમાં રુમ મળવો પણ મુશ્કેલ થઈ ગયો. અધિકારીઓ મારા પડછાયાંથી પણ દૂર ભાગવા લાગ્યાં.

ઉમા ભારતીએ આગળ જણાવ્યું હતું કે, મારા માટે આ અચરજની વાત હતી, કારણકે ત્રિરંગા માટે સીએમની ખુરશી છોડતા જ હું પૂર્વ સીએમ બની ગઈ હતી, પરંતુ પક્ષમાંથી બહાર નીકળતા જ અધિકારીઓની રંગત બદલાઈ ગઈ હતી. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, તેનાથી તેમને કોઈ પરેશાની નહોતી થઈ. કારણકે પબ્લિક અને ઈશ્વરની કૃપા સદાય તેમના પર રહી છે. પોતે બાદશાહ છે, કે પછી ફકીર છે.

જોકે, આવી વાતો લોકતંત્ર માટે દ્યાતક છે કારણકે અધિકારીઓને નિયમથી બંધાયેલા રહેવાનું છે, તથા જે જનતાના વોટથી ચૂંટણી જીતીને સત્તામાં આવ્યા છે, તેમની નીતિઓને અમલમાં મૂકવાની છે. સત્તામાં રહેલા પક્ષના રાજકારણને સાધવામાં કાર્યકર્તા નથી બનવાનું. પરંતુ આ નિર્ણય દેશના, તમામ રાજયોના બ્યૂરોક્રેટ્સે કરવાનો છે કે તેઓ એક અધિકારી, કર્મચારી અને જનતાના સેવક છે, કોઈ રાજકીય પક્ષના દ્યરદ્યાટી નોકર નહીં.

(2:57 pm IST)