Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

આગામી સત્રમાં એમએસપી ઉપર વિચાર કરશે સરકાર

ઘરે પરત ફરે કિસાન : રામદાસ અઠાવલે : કિસાનોએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરતા એમએસપી પર કાયદા સહિત છ સૂત્રીય માંગ કરી છે

નવી દિલ્હી, તા.૨૨ : ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત બાદ કિસાનોને વધુ એક ભેટ મળવાની છે. સરકાર તેની મોટી માંગ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (MSP) પર કાયદાની માંગ પણ સ્વીકારવાની છે. મોદી સરકારમાં સામાજિક ન્યાય તથા અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ અઠાવલેએ સોમવારે કહ્યુ કે, કિસાન આંદોલન પરત લઈને ઘરે જાય. સંસદના આગામી સત્રમાં સરકાર એમએસપી પર વિચાર કરશે અને સાર્થક પગલું ભરશે.

પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે ગુરૂ પર્વ પર ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પણ કિસાનોએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરતા એમએસપી પર કાયદા સહિત છ સૂત્રીય માંગ કરી છે. સોમવારે લખનઉમાં કિસાનોની મહાપંચાયત યોજાઈ હતી. તેમાં પણ એમએસપી પર કાયદાની માંગ કરવામાં આવી છે.

આ વચ્ચે કેન્દ્રીય મંત્રી અઠાવલેએ વારાણસીમાં કહ્યુ કે, પ્રધાનમંત્રીએ કૃષિના ત્રણેય કાયદા પરત લઈ લીધા છે. સંસદના આગામી સત્રમાં સરકાર એમએસપી પર વિચાર કરશે અને યોગ્ય પગલા ભરશે, જે બધા કિસાનોના હિતમાં હશે. રામદાસ અઠાવલે એક પ્રવાસ પર પોતાની પાર્ટી રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાના સંમેલનમાં ભાગ લેવા વારાણસી પહોંચ્યા છે. સર્કિટ હાઉસમાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૪થી પોતાના મૂળ મંત્રી સબકા સાથ સબકા વિકાસ સૂત્ર હેઠળ દરેક વર્ગના વિકાસ માટે યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓ દ્વારા વંચિત, દલિત, કિસાન સહિત તમામ વર્ગને લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, કિસાનોના હિત માટે સરકારે જે ત્રણ કાયદા બનાવયા હતા, તેના પર કેટલાક રાજનેતાઓએ રાજનીતિ શરૂ કરી હતી. તે કારણે ભ્રમની સ્થિતિ ઉભી થઈ છે.

સરકાર હંમેશા કિસાનોના હિતમાં વિચારે છે, તેથી તેને કોઈ પ્રકારની સમસ્યા ન થાય એટલે કાયદા પરત લેવામાં આવ્યા છે. હવે આગળ તેની આર્થિક સ્થિતિ અને સુરક્ષાને મજબૂત કરવા પર અલગથી વિચાર કરશે.

(12:00 am IST)