Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મુકેશ અંબાણીની રિલાયન્સને ૬૬,૦૦૦ કરોડનો ઝટકો

અરામકો સાથેનો સોદો અટકી જતાં ઝટકો : મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સે સાઉદી અરામકો સાથેની ૧૫ અબજ ડોલરની પ્રસ્તાવિત ડીલ રદ કરી છે

નવી દિલ્હી, તા.૨૨ : મુકેશ અંબાણીની માલિકીની દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં સોમવારે ૪ ટકાનો ઘટાડો થયો. તેનાથી કંપનીની માર્કેટ કેપ લગભગ ૯ અબજ ડોલર એટલે કે ૬૬,૦૦૦ કરોડ રૂપિયા ઘટી ગઈ. કંપનીએ સાઉદી અરામકો સાથેની ૧૫ અબજ ડોલરની પ્રસ્તાવિત ડીલ રદ કરી દીધી છે. તેનાથી રોકાણકારોની ધારણા પ્રભાવિત થઈ અને રિલાયન્સના શેરના ભાવમાં ઘટાડો આવ્યો. બીએસઈ પર કંપનીનો શેર ૪.૨૨ ટકાના ઘટાડા સાથે ૨,૩૬૮.૨૦ રૂપિયા પર પહોંચી ગયો હતો. આ કિંમત પર કંપનીની માર્કેટ કેપ ૬૬,૦૦૦ કરોડ રૂપિયા ઘટી ગઈ. જોકે, એનાલિસ્ટ્સએ કંપનીના પ્રાઈસ ટાર્ગેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. કંપની એનર્જી અને નવા કોમર્સ બિઝનેસમાં ઉતરવા ઈચ્છે છે. જાણકારોનું કહેવું છે કે, સારી બેલેન્સ શીટ અને આગામી કેટલાક વર્ષો દરમિયાન મળનારા કેશથી કંપનીને કોઈ મુશ્કેલી નહીં પડે.

ક્રેડિટ સ્યુસેએ રિલાયન્સના શેરને ન્યૂટ્રલ રેટિંગ આપી રાખ્યું છે. તેનું કહેવું છે કે, સાઉદી અરામકોની સાથે ડીલ રિલાયન્સ માટે કેટાલિસ્ટનું કામ કરી રહી હતી. અરામકોના ચેરમેનને રિલાયન્સના બોર્ડમાં સામેલ કરાયા હતા અને માનવામાં આવી રહ્યું હતું કે, આ સોદો ફાઈનલ થઈ જશે. રોકાણકારોના મનમાં માત્ર એ સવાલ હતો કે, આ ડીલ સંપૂર્ણ રીતે કેશમાં થશે કે કેશ અને સ્ટોક ડીલ હશે. એ જ કારણ છે કે, કંપનીના ખુલાસાથી રોકાણકારોની ધારણા પ્રભાવિત થઈ. રિલાયન્સના ઓટુસી બિઝનેસનું વેલ્યુએશન ૭૫ અબજ ડોલર માનવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે તેમાં ફેરફાર થઈ શકે છે. જેફરીઝએ તેનું વેલ્યુએશન ૭૦ અબજ ડોલર કરી દીધું છે અને સાથે જ સ્ટોકના ટાર્ગેટ પ્રાઈસમાં ૪ ટકાનો ઘટાડો કરી દીધો છે જોકે, બ્રોકરેજે સ્પષ્ટ કર્યું છે કે, અરામકો-રિલાયન્સ ડીલ રદ થવાથી કંપનીની બેલેન્સ શીટ પર કોઈ ફરક નહીં પડે. કંપનીની પાસે નવો બિઝનેસ શરૂ કરવા માટે પૂરતું ફંડ છે.

(12:00 am IST)