Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

પાકિસ્તાનના રસ્તે ભારત અફઘાનિસ્તાન મોકલશે ૫૦ હજાર MT ઘઉં : ઇમરાન ખાને આપી મંજૂરી

ભારતે પાકિસ્તાનને વિનંતી કરી હતી કે તે તેના વાઘા બોર્ડર દ્વારા અનાજ મોકલવાની મંજૂરી આપે, જેને સ્વીકારવામાં આવી છે

ઇસ્લામાબાદ,તા. ૨૩: પાકિસ્તાને વાઘા બોર્ડર દ્વારા અફઘાનિસ્તાનને માનવીય સહાયતા તરીકે ૫૦ હજાર મેટ્રિક ટન ઘઉં મોકલવાની ભારતની વિનંતીનો સ્વીકાર કરી લીધો છે. પાકિસ્તાની પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વીટ કરી આ વાતની જાણકારી આપવામાં આવી છે કે પ્રધાનમંત્રી ઇમરાન ખાને પાકિસ્તાન થતા ભારત દ્વારા અફઘાનિસ્તાન સુધી મોકલાતી માનવીય સહાયતાને મંજૂરી આપી દીધી છે. પરંતુ ભારત સરકારના સૂત્રોએ કહ્યું કે કોઈ પ્રકારની ઔપચારિકતાને હજુ અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી.

આ સિવાય પાકિસ્તાન પીએમ ઓફિસ તરફથી તે પણ જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન એવા અફઘાની દર્દીઓની વાપસીને સરળ બનાવશે, જે સારવાર માટે ભારત ગયા હતા અને ત્યાં ફસાયા હતા.

ગયા મહિને, ભારતે માનવતાવાદી સહાય તરીકે અફઘાનિસ્તાનને ૫૦,૦૦૦ મેટ્રિક ટન ઘઉં મોકલવાની જાહેરાત કરી હતી અને પાકિસ્તાનને વિનંતી કરી હતી કે તે વાઘા બોર્ડર દ્વારા અનાજ મોકલવાની મંજૂરી આપે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી અમીર અહમદ મુત્ત્।ાકીએ ગયા અઠવાડિયે પીએમ ઈમરાન ખાનને વિનંતી કરી હતી કે ભારતને પાકિસ્તાન દ્વારા ઘઉં મોકલવાની મંજૂરી આપવામાં આવે. તેણે કહ્યું હતું કે તાલિબાન સરકાર ભારત પાસેથી માનવીય મદદ લેવા તૈયાર છે.

(9:51 am IST)