Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ગાયબ થવા માટે નેતા પોલીસ પ્રોટેક્શન પરત કરી દેતા હોય છે

મહારાષ્ટ્રમાંથી ડઝનો ધારાસભ્યો ગાયબ કઈ રીતે થયા : વરિષ્ઠ નેતાઓને પ્રોટેક્શન મળે છે, જોકે ક્યારેક તેઓ પીએ દ્વારા મેસેજ આપીને સુરક્ષા પરત કરી દેતા હોય છે

મુંબઈ, તા.૨૪ : શિવસેનાના ડઝનો નેતાઓ મહારાષ્ટ્રથી ગાયબ થવા અને સુરત તથા ગુવાહાટી શિફ્ટ થયા બાદ રાજ્ય સરકારના ગૃહ મંત્રાલયની ઈન્ટલિજન્સના નિષ્ફળ નેટવર્ક સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. પરંતુ મુંબઈ પોલીસના ઘણાં અધિકારીઓનું કહેવું છે કે ઘણી વખત નેતા ગાયબ થવા માટે પોલીસ પ્રોટેક્શન પરત કરી દેતા હોય છે. એક અધિકારી મુજબ, રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત ૮થી ૧૦ મોટા મંત્રીઓ/નેતાઓના રોજના કાર્યક્રમો, તેમનું વર્તમાન લોકેશનનું સ્ટેટસ દરરોજ સવારે ૭ વાગ્યે અને સાંજે ૭ વાગ્યે ડીજીપી, પોલીસ કમિશનર, જોઈન્ટ કમિશનર અને વરિષ્ઠ અધિકારીઓને મોકલવામાં આવતું હોય છે. આ જાણકારી પ્રોટેક્શન બ્રાન્ચ, સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચ (એસબી-૧) દ્વારા મળેલા ઈનપુટના આધારે મોકલવામાં આવતી હોય છે.

આ તમામ વરિષ્ઠ નેતાઓને પ્રોટેક્શન બ્રાન્ચથી પ્રોટેક્શન મળે છે. પ્રોટેક્શન ધારાસભ્યોને આપવામાં આવે છે, પરંતુ ઘણી વખત નેતાઓ પોતાના પીએ દ્વારા પ્રોટેક્શન ટીમને મેસેજ મોકલાવે છે કે તેઓ આ કે પેલી હોટલમાં આખી રાત રોકાવાના છે, માટે પ્રોટેક્શન ટીમ જતી રહે. જ્યારે સવારે અમે હોટલથી નીકળીશું ત્યારે પ્રોટેક્શન ટીમને ફોન કરીશું તેવી જાણ ટીમને કરવામાં આવતી હોય છે.

ઘણી વખત નેતાઓ પોલીસને પોતાના લોકેશન અંગે માહિતી આપતા નથી. તેઓ જે દરવાજથી અંદર આવે છે તેના સિવાયના દરવાજાથી બહાર નીકળી જતા હોય છે. ઘણાં કલાકો પછી પીએ આ આ અંગેની સુચના પ્રોટેક્શન ટીમને આપે છે અને કહે છે કે નેતા જતા રહ્યા છે તમે પણ હવે જઈ શકો છો. પ્રોટેક્શન ટીમના સિપાહી આ બાબતને એક ડાયરીમાં નોંધી લેતા હોય છે. એટલું જ નહીં, તેઓ આ અંગે કંટ્રોલ રૂમને પણ સૂચના આપે છે. એક

અધિકારી મુજબ આ રીતે આખા મહારાષ્ટ્રમાં રોજ ૨૦થી ૨૫ સૂચનાઓ કંટ્રોલ રૂમ કે પોલીસ અધિકારીઓ અપાતી હોય છે. કારણ કે આ પ્રક્રિયા રૂટીન બની ગઈ છે, માટે પોલીસ આ બાબતને ગંભીરતાથી નથી લેતી કે થોડા સમય માટે જ પરંતુ શા માટે નેતાનું પ્રોટેક્શન પરત કરી દેવામાં આવ્યું છે?

એક અધિકારી મુજબ મહારાષ્ટ્રના એક નાયબ મુખ્યમંત્રી લાવણી ડાંસ જોવાના શોખીન હતા. જ્યારે તેઓ પોતાના કાફલાની સાથે આવતી પોલીસ ફોર્સને અચાનક પરત જવા માટે કહી દેતા હતા, પોલીસ સમજી જતી કે મંત્રી ક્યાં જઈ રહ્યા છે. જોકે, હવે સીસીટીવી અને મોબાઈલ સીડીઆરનો યુગ છે. નેતાઓનું લોકેશન છૂપાઈ શકતું નથી. પરંતુ જો કોઈ નેતા પોતાની મરજીથી એક શહેરથી બીજા શહેરમાં નીકળી જાય અને પોતાની અંગતતા ઈચ્છતા હોય તો એક શહેરની પોલીસ અન્ય શહેરની પોલીસને તે નેતાની તેમના શહેરમાં પ્રોટેક્શનની માહિતી પણ નથી આપતા.

આ અધિકારી મુજબ, પ્રોટેક્શન ફોર્સની ટીમ ઘણી વખત જે હોટલમાં નેતા રોકાયા હોય તેની બહાર ૨૪-૨૪ કલાક બહાર ઉભી રહેતી હોય છે, નેતા કે મંત્રી હોટલમાં રોકાય છે પરંતુ પ્રોટેક્શન ટીમ તે નેતા કે મંત્રીના હોટલના રૂમમાં હોતી નથી. માટે બંધ રૂમમાં શું ખીચડી રંધાઈ રહી છે તેની જાણકારી પોલીસ પાસે કઈ રીતે આવી શકે? હા, હોટલની લોબીના સીસીટીવી ફૂટજથી એટલું જરુર ખબર પડે કે નેતા કે મંત્રીના રૂમમાં કોણ-કોણ મળવા માટે ગયું છે? પરંતુ આવું ત્યારે થાય છે કે જ્યારે ઉપરથી મૌખીક કે કોઈ આદેશ આવે. મૌખીક આદેશમાં ઘણી વખત પોલીસ પોતે જ ફસાઈ જતી હોય છે.

તાજુ ઉદાહરણ એડિશનલ ડીજી રશ્મિ શુક્લાનું છે, જેમના પર ગેરકાયદેસર રીતે ફોન ટેપિંગમાં બે એફઆઈઆરપુણે અને કોલાબા પોલીસમાં નોંધાઈ છે અને બાંદ્રા સાઈબર પોલીસ પણ તેની તપાસ કરી રહી છે. તેમના પર આરોપ છે કે અઢી વર્ષ પહેલા રાજકીય ઘટનાક્રમ દરમિયાન નાના પટોલે, એકનાથ ખડસે સહિત ઘણાં નેતાના ગેરકાયદેસર રીતે ફોન ટેપિંગ કરાવ્યા હતા. ઘણાં પોલીસવાળા ફોન ટેપિંગની આ ગેરકાયદેસર પ્રક્રિયાને તમામ દબાણ છતાં રિજેક્ટ કરી દે છે. ઘણી વખત રાજકારણમાં ઈન્ટેલિજન્સ આ કારણે ફેલ થઈ જાય છે.

 

(7:59 pm IST)