Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

૨૪ કલાકમાં ૩૧૮ દર્દીના મોત : કુલ મૃત્યુઆંક ૪,૪૬,૩૬૮

ભારતમાં એકિટવ કેસોની સંખ્યામાં ઘટાડો : કોવિડ વેકસીનેશન આંક ૮૪ કરોડથી પણ વધુ

નવી દિલ્હી તા. ૨૪ : ભારતમાં કોરોના વાયરસના મામલા ૩૦ હજારની ઉપર જ નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ સંક્રમણના ૩૧ હજાર ૩૮૨ નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં સાધારણ ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કેરળમાં છે. અહીં ગત એક દિવસમાં ૧૯,૬૮૨ નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૩,૩૨૦ લોકો સંક્રમિત થયા છે.

આજે સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૧,૩૮૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૩૧૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૫,૯૪,૮૦૩ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૪,૧૫,૧૮,૦૨૬ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૨,૨૦,૬૪૨ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૮ લાખ ૪૮ હજાર ૨૭૩ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૨,૫૪૨ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૩,૦૦,૧૬૨ એકિટવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૬,૩૬૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૫,૯૯,૩૨,૭૦૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૫,૬૫,૬૯૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના કેસોમાં થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૬ કેસ નોંધાયા છે. જેની સામે ૧૯ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજયમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ થયો છે. રાજયમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજયમાં અત્યારે કુલ ૧૪૦ એકિટવ કેસ છે, જેમાં ૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજયમાં ૧૩૪ દર્દીઓ સ્ટેબલ છે. રાજયમાં અત્યાર સુધીમાં ૮૧૫૫૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(11:20 am IST)