Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ચીને સંસદમાં પસાર કર્યો નવો ભૂમિ સરહદ કાયદો

ભારત સાથેના તણાવ પર પડી શકે છે અસર : કાયદો આગામી વર્ષે ૧ જાન્યુઆરીથી અમલમાં આવશે

બેઈજિંગ, તા.૨૪ : દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાને પવિત્ર અને અખંડ જણાવતા ચીનની સંસદે સરહદી વિસ્તારોના સરક્ષણ અને ઉપયોગ સંબંધી એક નવો કાયદો અપનાવ્યો છે, જેની અસર ભારત સાથેના સરહદ વિવાદ પર પડી શકે છે. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ, નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી)ની સ્થાયી સમિતિના સભ્યોએ શનિવારે સંસદની સમાપન બેઠક દરમિયાન આ કાયદાને મંજૂરી આપી.

આ કાયદો આગામી વર્ષે એક જાન્યુઆરીથી પ્રભાવમાં આવશે. તે મુજબ, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની સંપ્રભુતા તેમજ ક્ષેત્રીય અખંડતા પવિત્ર અને અખંડ છે.' શિન્હુઆ મુજબ, કાયદામાં એમ પણ કહેવાયું છે કે, સરહદી સુરક્ષાને મજબૂત કરવા, આર્થિક તેમજ સામાજિક વિકાસમાં મદદ કરવા, સરહદી વિસ્તારોને ખોલવા, એવા ક્ષેત્રોમાં જનસેવા અને પાયાના માળખાને ઉત્તમ બનાવવા, તેને પ્રોત્સાહન આપવા અને ત્યાંના લોકોના જીવન તેમજ કાર્યમાં મદદ માટે દેશ પગલું ઉઠાવી શકે છે.

તે સરહદો પર સુરક્ષા, સામાજિક તેમજ આર્થિક વિકાસમાં સમન્વયને પ્રોત્સાહન આપવા માટે ઉપાય કરી શકે છે. દેશ સમાનતા, પરસ્પર વિશ્વાસ અને મિત્રતાપૂર્ણ વાતચીતના સિદ્ધાંતોનું પાલન કરીને પડોશી દેશો સાથે ભૂમિ સરહદ સંબંધી મુદ્દાને ઉકેલશે અને લાંબા સમયથી પડતર સરહદ સંબંધી મુદ્દાઓ અને વિવાદોના યોગ્ય સમાધાન માટે વાતચીતની મદદ લેશે. બેઈજિંગે પોતાના ૧૨ પડોશીઓની સાથે તો સરહદ સંબંધી વિવાદ ઉકેલી લીધો છે, પરંતુ ભારત અને ભૂટાન સાથે તેણે હજુ સુધી સરહદ સંબંધી સમજૂતીને અંતિમ રૂપ નથી આપ્યું.

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ૩,૪૮૮ કિલોમીટરના ક્ષેત્રમાં છે, જ્યારે ભૂટાન સાથે ચીનનો વિવાદ ૪૦૦ કિલોમીટરની સરહદ પર છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ગત સપ્તાહે કહ્યું હતું કે, પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ઘટનાક્રમોને સરહદી વિસ્તારોમાં શાંતિને ગંભીર રીતે પ્રભાવિત કરી છે. સ્પષ્ટ રીતે તેની વ્યાપક અસર સંબંધો પર પણ પડી છે.

(7:11 pm IST)