Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

લવ જિહાદ : વિદેશી ભંડોળ અને સંગઠિત કાવતરાના કોઇ પુરાવા મળ્યા નથી : SIT ના રિપોર્ટમાં ખુલાસો

કાનપુરમાં કથિત લવ જિહાદના મામલેSIT એ રિપોર્ટ સોંપ્યો :SITની તપાસમાં કુલ 14 કેસ: 11 કેસોમાં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ:અન્ય 3 કેસોમાં પુખ્ય વયની યુવતીઓએ યુવકોની તરફેણમાં નિવેદન આપ્યું: યુવકોને નામ બદલ્યા 3 એવા કેસ

લખનઉ: કાનપુરમાં કથિત લવ જિહાદના મામલે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આઈજી રેન્જને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. એસઆઈટીને આ કેસોમાં વિદેશી ભંડોળ અને સંગઠિત કાવતરાના કોઇ પુરાવા મળ્યા નથી. એસઆઈટીએ તેની તપાસમાં કુલ 14 કેસનો સમાવેશ કર્યો હતો. તેમાંથી 11 કેસોમાં પોલીસે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. જ્યારે 3 કેસોમાં પુખ્ત વયની યુવતીઓએ યુવકોની તરફેણમાં નિવેદન આપ્યું છે. ત્યારબાદ અંતિમ રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

કાનપુર રેન્જના મોહિત અગ્રવાલે જણાવ્યું કે કુલ 14 કેસ કાનપુરમાં એવા કેસ સામે આવ્યા હતા જેમાં બાળકોના માતા-પિતાએ આરોપ લગાવ્યા હતા કે પુત્રીઓ સાથે છળકપટ કરી યુવકોએ તેમને ફસાવી લીધી છે. આ ઘટનાને લઇને એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઈટીએ તમામ પ્રકરણની તપાસ કરી, જેમાં 11 કેસ એવા મળ્યા, જેમાં કોઇ ગુનો થયો હોય અને 11 લોકોને જેલ ભેગી કરી દેવાયા છે.

તપાસમાં કાનપુરના 4 યુવક એક બીજા સાથે સંપર્કમાં હતા તેવા પુરાવા મળ્યા છે. આ ચારેય એક સાથે ફોન પર વાતચીત કરતા હતા. જોકે ઓવરઓલ કોઇ પણ પ્રકારના કાવતરાના પુરાવા નથી મળ્યા. શરૂઆતમાં પોલીસ પાસે કથિત લવ જિહાદના 6 કેસ આવ્યા હતા જે વધીને 14 થઇ ગયા

   બીજીતરફ 3 કેસ એવા મળ્યા જેમાં યુવકોએ પોતાના નામ બદલ્યા હતા. તેમાં ફતેહ ખાને આર્યન મલ્હોત્રા, ઓવેસે બાબુ અને મુખ્તાર અહમદે પોતાનું નામ રાહુલ રાખ્યું હતુ. મુખ્તાર અહમદે રાહુલ નામથી આધાર કાર્ડ પણ બનવ્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બરે સમાચાર આવ્યા હતા કે ઉત્તર પ્રદેશમાં ટૂંક સમયમાં લવ જિહાદ વિરુદ્ધ એક કડક કાયદો બનાવવામાં આવશે. ન્યૂઝ એજન્સીએ રાજ્યના ગૃહ વિભાગના હવાલાથી આ જાણકારી આપી છે. ગૃહ વિભાગે એ પણ જણાવ્યું કે તેમણે કાયદા વિભાગને સંબંધિત એક પ્રસ્તાવ મોકલ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતુ કે તે લવ જિહાદ અટકાવવા માટે પ્રભાવી કાયદો બનાવાશે. તેમણે ચેતવણી આપી હતી કે જે લોકો વહુ-પુત્રીઓની આબરૂ સાથે રમે છે, જો તેઓ નહીં સુધરે તો ‘રામ નામ સત્યા હૈ’ની તેમની અંતિમ યાત્રા નિકળવાની છે

(8:36 am IST)