News of Wednesday, 25th January 2023
નવી દિલ્હી, તા.૨૫: દહેરાદૂન-જોશીમઠમાં જમીન ધસી પડવાની ઘટનાનો અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકોએ મંગળવારના રોજ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, ૨૦મી જાન્યુઆરીના રોજ જે હિમવર્ષા થઈ અને વરસાદ પડ્યો તેના કારણે નેશનલ હાઈવે નબર ૫૮ પર પણ તિરાડો પડી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈવે ૫૮ એકમાત્ર રસ્તો છે જ્યાંથી બદ્રીનાથ અને માના જઈ શકાય છે. નોંધનીય છે કે માના ચાઈના બોર્ડર પાસે ભારતનું અંતિમ ગામ છે જ્યારે બદ્રીનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે જાય છે.
એક વરિષ્ઠ વૈજ્ઞાનિક જણાવે છે કે, આ જે ઘટના બની છે તેને અમે લ્શફુફૂ ર્ીઁફુ લ્યણુતશફુફૂઁણૂફૂ તરીકે ઓળખીએ છીએ. આનો અર્થ છે કે રોડની નીચેની જમીન સ્થિર નથી જેના કારણે રોડની ઉપર તિરાડ પડી જાય છે. અત્યાર સુધી જોશીમઠમાં જે સ્થિતિ અમે જોઈ છે, અહીં પણ તે જ પેટર્ન જણાઈ રહી છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં વરસાદ પડશે અને ભારે હિમવર્ષા પણ થઈ શકે છે. જો આ આગાહી સાચી પડશે તો સ્થિતિ વણસી શકે છે.
હવામાન વિભાગના ડાઈરેક્ટર બિક્રમ સિંહ જણાવે છે કે, ચમોલી, ઉત્તરકાશી અને પિઠોરાગઢ તેમજ દહેરાદૂનમાં ઉંચાણ વાળા સ્થળો, અહીં ભારે હિમવર્ષા જોવા મળી શકે છે. મંગળવાર રાત પછી અહીં વાતાવરણ પલટાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે હાઈવે પર જે આ તિરાડો પડી છે તેના કારણે રાજ્યનું તંત્ર તેમજ જોશીમઠ અને તેની આસપાસ રહેતા લોકો ચિંતામાં મૂકાઈ ગયા છે, કારણકે ચમોલી જિલ્લાના અન્ય સ્થળોએ જવા માટે આ હાઈવે જ એકમાત્ર રસ્તો છે.
ઉલ્લેખનીય છે કે, ખાણીપીણી તેમજ અન્ય વસ્તુઓનો સપ્લાય પણ આ જ માર્ગથી થાય છે. જોશીમઠના મનોહર બાગમાં રહેતા ડી.એસ. રાવત જણાવે છે કે, નેશનલ હાઈવે ૫૮ ચમોલીથી માના સુધી એકમાત્ર લાઈફલાઈન છે. માના, બદ્રીનાથ, હેમકુંડ, વેલી ઓફ ફ્લાવર્સ, પાખી, હેલાંગ, પંડુકેશ્વર અને જોશીમઠ માટે પ્રવેશ કરવાનો અને બહાર નીકળવાનો તે એકમાત્ર રસ્તો છે. રસ્તા પર વિવિધ જગ્યાએ તિરાડ પડી ગઈ છે. આ હાઈવેનું કામ પ્રાથમિક ધોરણે કરવું જોઈએ કારણકે જોશીમઠ સહિત અન્ય સરહદ પાસેના ગામોમાં તૈનાત આર્મીના જવાનો માટે પણ તે જરૂરી છે.
અન્ય એક રહેવાસી બદ્રી પ્રસાદ નૈનવાલ જણાવે છે કે, નેશનલ હાઈવે પર પાછલા એક વર્ષમાં લગભગ ૨૫ લાખ વાહનો પસાર થયા હતા. પહાડી રસ્તાની ક્ષમતાની સરખામણીમાં આ આંકડો ઘણો મોટો છે. અને હવે જ્યારે બદ્રીનાથ યાત્રા શરુ થશે ત્યારે ફરી એકવાર મોટી સંખ્યામાં વાહનો આવશે. જોશીમઠ બચાઓ સંઘર્ષ સમિતિના કન્વીનર અતુલ સતી જણાવે છે કે, જોશીમઠથી બદ્રીનાથ તરફ જતા બન્ને રસ્તા પર તિરાડ પડી ગઈ છે. આ વાત સેના માટે પણ ચિંતાજનક છે.