Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

વેપારીએ અમૃતસરથી દુબઈ વિમાનમાં એકલા પ્રવાસ કર્યો

ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ભારતીય વેપારીની મુસાફરી : મહારાજા હોય એવો અનુભવ, સહયાત્રીઓ વિનાનો પ્રવાસ કંટાળાજનક, બીજીવાર તક મળે તો પ્રવાસ કરવા ઈનકાર

અમૃતસર, તા. ૨૫ : સંયુક્ત અરબ અમીરાતમાં રહેતા એક ભારતીય વેપારીએ અમૃતસરથી યુએઈની એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં એકલા પ્રવાસ કર્યો. તેમના માટે આ અનુભવ યાદગાર બની ગયો. તે જણાવે છે કે યાત્રા દરમિયાન તેઓ એક મહારાજા હોય તેવો અનુભવ કરી રહ્યા હતા. જો કે, આ દરમિયાન તેમણે સહયાત્રીઓની કમીનો અનુભવ કર્યો.

વ્યવસાયી એસપી સિંહ ઓબરોયે બુધવારના રોજ અમૃતસરથી દુબઈની ફ્લાઈટ બુક કરી હતી, જેનો સમય લગભગ ૩ કલાકનો હતો. તેમણે જ્યારે જોયું કે ફ્લાઈટમાં તેઓ એકલા છે તો તેઓ ચોંકી ગયા. પોતાનો અનુભવ જણાવતાં તેઓ કહે છે કે, ૨૩ જૂનના રોજ સવારે લગભગ ૪ વાગ્યે અમૃતસરથી દુબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ લીધી હતી. આખી ફ્લાઈટમાં હું એકમાત્ર યાત્રી હતો. હું ઘણો નસીબદાર હતો. યાત્રા દરમિયાન હું એક મહારાજ જેવો અનુભવ કરી રહ્યો હતો.

એસપી સિંહ પાસે દસ વર્ષના ગોલ્ડન વીઝા છે અને દુબઈમાં તેઓ વેપાર કરે છે. એસપી સિંહ સ્વીકારે છે કે, સહયાત્રીઓ વિના યાત્રા કંટાળાજનક બની ગઈ હતી. સમય પસાર કરવા માટે તે એરબસ ૩૨૦ વિમાનની સીટો અને બારીઓની સંખ્યા ગણતા રહ્યા. તે જણાવે છે કે, જો મને બીજી વાર આ પ્રકારે એકલા યાત્રા કરવાની તક આપવામાં આવે તો હું ના પાડી દઈશ. જીવનના એક અનુભવ તરીકે એક વાર સારું લાગે, પરંતુ આ કંટાળાજનક પ્રવાસ હતો. મેં જો બોલે સો નિહાલ જેવા સ્લોગ્ન્સ મિસ કર્યા, જે સામાન્ય ધોરણે પંજાબથી વિમાનમાં સવાર યાત્રી ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન બોલતા હોય છે.

ઉલ્લેખનીય છે કે, પહેલા તો તેમને ફ્લાઈટમાં જવાની પરમિશન આપવાની ના પાડી દીધી હતી. પરંતુ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના હસ્તક્ષેપ પછી તેમને આમ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

(7:42 pm IST)