Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ચાંદીપુરમાં સબસોનિક ક્રુઝ મિસાઈલ નિર્ભયનું પરિક્ષણ

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનનું પરીક્ષણ : ૧૦૦૦ કિલોમીટર સુધી માર કરી શકતી નિર્ભય મિસાઈલ પરમાણુ બોમ્બ લઈ જવા માટે પણ સક્ષમ છે

નવી દિલ્હી, તા. ૨૫ : ભારતની સંરક્ષણ સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા આજે ઓરિસ્સા તટ પર ચાંદીપુરમાં ઈન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જમાં સબસોનિક ક્રુઝ મિસાઈલ નિર્ભયનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ છે.

૧૦૦૦ કિલોમીટર સુધી માર કરી શકતી નિર્ભય મિસાઈલ પરમાણુ બોમ્બ લઈ જવા માટે પણ સક્ષમ છે. આ મિસાઈલની સરખામણી અમેરિકાના ટોમ હોક અને પાકિસ્તાનના બાબર મિસાઈલ સાથે કરવામાં આવે છે. મિસાઈલ ૩૦૦ કિલોગ્રામ સુધીના વિસ્ફોટકો તેમજ પરમાણુ હથિયારનુ વહન કરવામાં સક્ષમ છે. અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ નિર્ભયને જમીન, હવા કે પાણી નીચે સબમરિનમાંથી પણ લોન્ચ કરી શકાય છે. આ મિસાઈલ બે સ્ટેજમાં પોતાના ટાર્ગેટ પર પ્રહાર કરે છે.

નિર્ભય મિસાઈલ બહુ ઓછી ઉંચાઈ પર ઉડાન ભરતી હોવાથી રડારમાં તેને પકડવી મુશ્કેલ છે. પોતાના લક્ષ્ય પર તે સચોટ સમયે સચોટ જગ્યાએ વાર કરે છે. આ પહેલા માર્ચ મહિનામાં પણ તેનુ સફળ પરીક્ષણ કરાયુ હતુ. આ મિસાઈલ સોલિડ ફ્યુલ ટેકનોલોજી પર આધારિત છે.

ડીઆરડીઓએ કહ્યુ હતુ કે, મિસાઈલના તમામ પ્રકારના ઉપકરણોએ ટેસ્ટિંગ દરમિયાન અપેક્ષા પ્રમાણે દેખાવ કર્યો હતો. મિસાઈલમાં પ્રપલ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. જે બહુ ઓછા દેશો પાસે છે. તાજેતરમાં ઈસરો દ્વારા હિન્દ મહાસાગરમાં નેવી તેમજ વ્યાપારિક જહાજો પર નજર રાખવા માટે એક ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે. તેને પણ ડીઆરડીઓ દ્વારા જ વિકસાવવામાં આવ્યો છે.

(7:48 pm IST)