Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

કેન્દ્ર કાશ્મીરમાં પણ એક ફિલ્મ સિટીનું નિર્માણ કરે : શિવસેના

દરેક રાજ્યએ સિનેમા જગતમાં યોગદાન આપ્યું છે : એક સમય સિનેમા જગત શૂટિંગ માટે કાશ્મીર, શિમલા, મનાલી અને શિલોંગ જેવા ક્ષેત્રોમાં જતું હતું : શિવસેના

 મુંબઈ, તા. ૨૫ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના રાજ્યમાં ફિલ્મ સિટી બનાવવાની જાહેરાત તાજેતરમાં કરી છે. શિવસેનાએ આ મુદ્દે સીએમ યોદીના પગલાંનું સ્વાગત કર્યું છે, જો કે બીજીતરફ મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. શિવસેનાએ સામનામાં લખ્યું છે કે અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે કાશ્મીરમાં પણ એક ફિલ્મ સિટી બનાવવાની યોજના ઘડવી જોઈએ. આખરે દરેક રાજ્યએ ભારતીય સિનેમા જગતમાં પોતાનું યોગદાન આપ્યું છે.

શિવસેનાએ કહ્યું કે એક સમય તો જ્યારે આપણું સિનેમા જગત શૂટિંગ માટે કાશ્મીર, શિમલા, મનાલી અને શિલોંગ જેવા ક્ષેત્રોમાં જતું હતું. રોમેન્ટિક ગીતો માટે કાશ્મીર સૌનું પ્રિય સ્થળ હતું. ત્યાં પણ ભવ્ય ફિલ્મ સિટીનું નિર્માણ થઈ શકે. દરેક લોકોએ ફિલ્મ જગતમાં પોતાનું યોગદાન આપ્યું છે.

ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટીના નિર્માણને લઈને શિવસેનાએ યોગીની પહેલને આવકારી છે. પાર્ટીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના રાજ્યમાં ફિલ્મ સિટી બનાવવાના સંકલ્પની જાહેરાત કરી છે. યમુના ઓથોરિટી ક્ષેત્રેમાં એક હજાર એકરમાં આ ફિલ્મ સિટી બનાવવામાં આવશે અને આંતરાષ્ટ્રીય સલાહકારોને માર્ગદર્શનમાં કામ શરૂ કરાશે. આગામી બે-અઢી વર્ષમાં આ યોજના પૂર્ણ થશે. શિવસેનાએ વધુમાં જણાવ્યું કે મુંબઈ તેમજ દક્ષિણ ભારતના સિનેમા જગત અને ચિત્રનગરીની તુલનાએ આ યોજના ઘણી નાની છે પરંતુ તેમણે આ યોજના શરૂ કરવાની પહેલનું સ્વાગત કર્યું હતું.

સામનામાં શિવસેનાએ લખ્યું કે મુંબઈને દેશ-દુનિયામાં જે મહત્વ મળ્યું છે, તેમાં સિનેમા જગતનું મહત્વપૂર્ણ યોગદાન છે. મુંબઈને માયાનગરી એટલા માટે જ કહેવામાં આવે છે. મુંબઈના સિનેમા જગત અને તેની પ્રતિષ્ઠા સરળતાથી નથી પ્રાપ્ત થઈ. હિન્દુસ્તાની સિનેમાના પાયો નાંખનાર દાદાસાહેબ ફાળકે મરાઠી ધરતી સુપુત્ર હતા. સિનેમાજગતનું બીજરોપણ કરતી વખતે તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. છેલ્લા થોડા સમયથી મુંબઈને બદનામ કરવાના અને તેને કચડવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમાં કામ કરી રહેલા મુખઅય લોકો પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સિનેમા ઉદ્યોગ અને તેમાં કામ કરતા લોકો મુંબઈ છોડીને જતા રહે તેવંુ વાતાવર ઊભું કરવામાં આવ્યું છે.

(9:43 pm IST)