Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ગરીબોને માર્ચ મહિના સુધી ફ્રી રાશન મળતું રહેશે

પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની સમય મર્યાદા વધી : અત્યાર સુધી ૬૦૦ લાખ મેટ્રિક ટન મંજૂર કરવામાં આવી ચુક્યા છે, કુલ મળી તેના પર ૨.૬ લાખ કરોડ ખર્ચ થશે

નવી દિલ્હી, તા.૨૪ : પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની સમય મર્યાદા સરકારે વધારી દીધી છે. હવે માર્ચ સુધી ફ્રી રાશન મળતું રહેશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક બાદ આ જાણકારી આપી છે. અનુરાગ ઠાકુરે કહ્યુ કે, તેના પર કુલ ૫૩૩૪૪ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ યોજનાથી આશરે ૮૦ કરોડ લોકોને ફાયદો મળતો રહેશે. અત્યાર સુધી ૬૦૦ લાખ મેટ્રિક ટન મંજૂર કરવામાં આવી ચુક્યા છે. કુલ મળીને તેના પર ૨.૬ લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે.

અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે, કેબિનેટે ત્રણ કૃષિ કાયદાને પરત લેવા માટે એક બિલને પણ મંજૂરી આપી છે. સંસદનું શિયાળુ સત્ર શરૂ થયા બાદ બિલને સંસદમાં રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૯ નવેમ્બરે દેશના નામે સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. સાથે પીએમ મોદીએ કહ્યુ હતુ કે એમએસપીને વધુ મજબૂત બનાવવા માટે એક કમિટીની રચના કરવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલા સંસદ સત્રમાં અમે ત્રણ કૃષિ કાયદાને રિપીલ (રદ્દ) કરવાની બંધારણીય પ્રક્રિયાને પૂરી કરી દેશું.

તેમણે કહ્યું- ઝીરો બજેટ ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશની બદલતી જરૂરીયાતને ધ્યાનમાં રાખી ક્રોપ પેટર્નને વૈજ્ઞાનિક રીતે બદલવા માટે, એમએસપીને વધુ પ્રભાવી અને પારદર્શી બનાવવા માટે, એવા બધા વિષય પર ભવિષ્યને ધ્યાનમાં રાખતા, નિર્ણય લેવા માટે, એક કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટીમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોના પ્રતિનિધિ હશે, કિસાન હશે, કૃષિ વૈજ્ઞાનિક હશે. કૃષિ અર્થશાસ્ત્રી હશે.

પીએમ મોદીએ કહ્યુ- હું બધા આંદોલનરત કિસાન સાથીઓને આગ્રહ કરુ છું કે, આજે ગુરૂ પર્વનો પવિત્ર દિવસ છે.

 હવે તમે તમારા ઘરે પરત ફરો, તમારા ખેતરમાં પરત ફરો, પરિવાર પાસે પરત ફરો. આવો એક નવી શરૂઆત કરીએ. નવી રીતે આગળ વધીએ.

(12:00 am IST)