Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

કોરોના ધૈર્ય, કષ્ટ સહન કરવાની મર્યાદાની પરીક્ષા લે છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

મન કી બાતમાં વડાપ્રધાન મોદી દેશને સંબોધન : હાલ આપણે આ લડતને જીતવા માટે એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિક સલાહને પ્રાથમિકતા આપવાની છે : રસી મુકવવા તમામ લોકોને મોદીની અપીલ

નવી દિલ્હી, તા. ૨૫ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું. મન કી બાતની આ ૭૬મી શ્રેણી હતી. સંબોધનની શરૂઆતમાં તેમણે કહ્યું કે આજે તમારી સાથે મન કી બાત એક એવા સમયે કરી રહ્યો છું જ્યારે કોરોના આપણા બધાના ધૈર્ય, દુઃખ સહન કરવાની સીમાની પરીક્ષા લઈ રહ્યો છે. આપણા પોતાના, આપણને કસમયે છોડીને જતા રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે હાલ કોરોના વિરુદ્ધ દેશના ડોક્ટર અને હેલ્થ વર્કર્સ ખુબ મોટી લડત લડી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં તેમને આ બીમારી અંગે દરેક પ્રકારના અનુભવ પણ થયા છે.

પીએમ મોદીએ કહ્યું કે હાલ આપણે આ લડતને જીતવા માટે એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિક સલાહને પ્રાથમિકતા આપવાની છે. રાજ્ય સરકારના પ્રયત્નોને આગળ વધારવામાં ભારત સરકાર સંપૂર્ણ તાકાતથી લાગી છે. રાજ્ય સરકારો પણ પોતાની જવાબદારી નિભાવવાની કોશિશ કરી રહી છે. હાલના દિવસોમાં આ સંકટમાંથી બહાર આવવા માટે મારી અલગ અલગ સેક્ટર્સના એક્સપર્ટ સાથે, વિશેષજ્ઞો સાથે લાંબી ચર્ચા થઈ છે. આપણી ફાર્મા ઈન્ડસ્ટ્રી હોય કે વેક્સીન મેન્યુફેક્ચર્સ હોય, ઓક્સિજન પ્રોડક્શન સાથે સંકળાયેલા લોકો હોય કે પછી મેડિકલ ફિલ્ડના જાણકાર હોય તેમણે સરકારને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોનાની પહેલી લહેરનો સફળતાપૂર્વક સામનો કર્યા બાદ દેશ જુસ્સાથી ભરેલો હતો. આત્મવિશ્વાસથી ભરેલો હતો. પરંતુ આ તોફાને દેશને હચમચાવી નાખ્યો છે.

કાર્યક્રમમાં મુંબઈથી પ્રસિદ્ધ ડોક્ટર શશાંક જોશી જોડાયા હતા જેમણે કોરોના પર ખુબ મહત્વની જાણકારી આપી. કોરોના વિશે જણાવતા તેમણે કહ્યું કે આ જે બીજી લહેર આવી છે તે ખુબ ઝડપથી આવી છે. પહેલી લહેર કરતા આ વાયરસ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરંતુ સારી વાત એ છે કે તેનાથી વધુ ગતિથી રિકવરી પણ થઈ રહી છે અને મૃત્યુદર પણ ઘણો ઓછો છે.  ડો.શશાંક જોશીએ કહ્યું કે તેમાં બે-ત્રણ ફરક છે. પહેલો તો એ કે તે યુવાઓ અને બાળકોમાં પણ થોડો જોવા મળી રહ્યો છે. તેના જે લક્ષણ છે, પહેલા જેવા લક્ષણ જેમ કે શ્વાસ ચડવો, સૂકી ઉધરસ આવવી, તાવ આવવો આ બધા તો છે જ પરંતુ સાથે સાથે સૂંઘવાની શક્તિ જવી, સ્વાદ જવો વગેરે પણ છે. લોકો થોડા ભયભીત પણ છે. ભયભીત થવાની જરાય જરૂર નથી. ૮૦-૯૦ ટકા લોકોમાં કોઈ પણ લક્ષણ જોવા મળતા નથી. આ દ્બેંટ્ઠંર્ૈહ-દ્બેંટ્ઠંર્ૈહ જે બોલે છે તેનાથી ગભરાવવાની જરૂર નથી. તે દ્બેંટ્ઠંર્ૈહ થતા રહે છે. જે રીતે આપણે કપડાં બદલતા રહીએ છીએ તે જ રીતે વાયરસ પણ પોતાનો રંગ બદલે છે. આથી બિલકુલ ડરવાની જરૂર નથી અને આ લહેર પણ આપણે પાર કરી લઈશું.

તેમણે કહ્યું કે લહેર આવતી જતી રહે છે અને આ વાયરસ પણ આવતો જતો રહે છે. તો આ જ અલગ અલગ લક્ષણ છે અને મેડિકલી આપણે સતર્ક રહેવું જોઈએ. એક ૧૪થી ૨૧ દિવસનું આ કોવિડનું  ટાઈમ ટેબલ છે તેમાં વૈદ્ય (ડોક્ટર)ની સલાહ લેવી જોઈએ. કોવિડની ટ્રિટમેન્ટ વિશે બોલતા ડો.શશાંકે કહ્યું કે કોવિડમાં ક્લિનિક ટ્રિટમેન્ટ પ્રોટોકોલ છે જેમાં ત્રણ પ્રકારની તિવ્રતા છે. હળવો  કે માઈલ્ડ કોવિડ, મધ્યમ કે મોડરેટ કોવિડ, અને તીવ્ર  કોવિડ જેને સિવિયર કોવિડ કહે છે. હળવો કોવિડ છે તેમના માટે અમે ઓક્સિજનનું મોનિટરિંગ કરીએ છીએ, પલ્સનું મોનિટરિંગ કરીએ છીએ, તાવનું મોનિટરિંગ કરીએ છીએ. તાવ વધે તો પેરાસિટામોલ જેવી દવાનો ઉપયોગ કરીએ છીએ અને પોતાના ડોક્ટરનો પણ સંપર્ક કરતા રહેવું જોઈએ. મોડરેટ કોવિડ, કે તીવ્ર કોવિડ હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો ખુબ જરૂરી છે. યોગ્ય અને સસ્તી દવાઓ ઉપલબ્ધ છે. જેમાં Steroids જે છે, તે જીવ બચાવી શકે છે, જે  ઈનહેલર્સ આપી શકાય છે. અન્ય દવાઓ આપવામાં આવે છે. આ સાથે જ પ્રાણવાયુ જે ઓક્સિજન છે તે આપવો પડે છે. જેને ઓક્સિજનની જરૂર પડે છે તેઓ હોસ્પિટલમાં દાખલ થાય છે.

ડો.શશાંકે કહ્યું કે આપણે રેમડેસિવિર પાછળ બિલકુલ ન ભાગવું જોઈએ. હોસ્પિટલમાં દાખલ જે દર્દીઓને ડોક્ટર ઓક્સિજન લેવા માટે કહે છે તેમણે જ આ સુવિધા લેવી જોઈએ. બાકીના લોકોએ તેનાથી બચવું જોઈએ. તમે જોશો કે ભારતમાં સૌથી સારો રિકવરી રેટ છે. જો તમે યુરોપ, અમેરિકા સાથે સરખામણી કરશો તો આપણા ત્યાંના ટ્રિટમેન્ટ પ્રોટોકોલથી દર્દી જલદી સાજા થઈ રહ્યા છે.

આ બાજુ પીએમ મોદીએ કહ્યું કે અનેક ડોક્ટર્સ સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાણકારી આપી રહ્યા છે. તેઓ ફોન, વોટ્સએપ ઉપર પણ લોકોનું કાઉન્સલિંગ કરે છે. અનેક હોસ્પિટલોની વેબસાઈટ છે, જ્યાં કોરોના સંબંધિત અનેક જાણકારીઓ ઉપલબ્ધ છે. ત્યાં તમે ડોક્ટર્સ સાથે પરામર્શ કરી શકો છો. જે ખુબ પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે હું બધાને આગ્રહ કરું છું કે જો તમારે કોઈ પણ જાણકારી જોઈએ, મનમાં પણ આશંકા હોય તો યોગ્ય સોર્સ પાસેથી જ જાણકારી લો. તમારા જે પણ ફેમિલી ડોક્ટર્સ હોય, આસપાસના જે પણ ડોક્ટર્સ હોય, તમે તેની સાથે ફોનથી સંપર્ક કરીને સલાહ લો.

રાયપુરની એક હોસ્પિટલના સિસ્ટર ભાવના ધ્રુવ સાથે પીએમ મોદીએ વાત કરી. તેમણે જણાવ્યું કે કોવિડ ડ્યૂટી લાગ્યા બાદ મારા પરિજનો ડરી ગયા હતા. હું કોવિડ દર્દીઓને મળી. તેઓ કોરોનાથી વધુ ગભરાયેલા હતા. તેમને સમજમાં નહતું આવતું કે આગળ શું કરશે. અમે તેમને એક સારો માહોલ આપ્યો. ધ્રુવે જણાવ્યું કે પીપીઈ કિટ પહેર્યા બાદ કેટલી સમસ્યા થાય છે.

પીએમ મોદીએ ફ્રન્ટલાઈન વર્કર્સના વખાણ કર્યા. તેમણે કહ્યું કે લેબ  ટેક્નિશિયન અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર ખુબ રિસ્ક લઈને કામ કરે છે. આ દરમિયાન તેમણે પ્રેમ વર્મા નામના એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર સાથે વાત કરી. તેમને તેમના અંગત અનુભવો વિશે પુછ્યું અને વખાણ કર્યા.

તમામને રસી મૂકાવવાની અપીલ કરી

પીએમ મોદીએ અંતમાં મહાવીર જયંતિની શુભકામના પાઠવી અને તમામને કોરોના રસી લેવાની અપીલ કરી. તેમણે કહ્યું કે દવાઓ અને કડકાઈ પણ. આ મંત્ર ભૂલવાનો નથી. આ આફતમાંથી આપણે જલદી બહાર આવીશું. આપણે મળીને આ જંગ જીતીશું.

(12:00 am IST)