Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

સેવન હિલ્સ હોસ્પિટલમાં સુવિધાઓમાં વધારો કરી 45 આઇસીયુ બેડ્સ સહિત 125 બેડ્સ તૈયાર કરવામાં આવ્યા :સેવન હિલ્સ હોસ્પિટલ અને NSCIમાં આવનારા તમામ દર્દીઓની સારવાર નિઃશુલ્ક કરવામાં આવી રહી છે

રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈમાં કોવિડ સામેની લડાઈને વધુ વિસ્તૃત બનાવી : કોવિડના દર્દીઓની સારવાર માટે 875 પથારીઓની સુવિધા વિકસાવનારું રિલાયન્સ ફાઉન્ડેશનનું મુંબઈમાં પરોપકારી કાર્યો કરતી સંસ્થાઓમાં સૌથી મોટું યોગદાન : સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ મુંબઈના વરલીમાં આવેલા નેશનલ સ્પોર્ટ્સ ક્લબમાં 650 બેડ્સની કોવિડ કેર સુવિધાનું સંચાલન કરશે:રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 100 આઇસીયુ બેડ્સની નવી સુવિધા તૈયાર થઈ રહી છે:એસિમ્ટોમેટિક દર્દીઓ માટે ટ્રાયડન્ટ હોટેલ, બીકેસીમાં 100 બેડ્સ તૈયાર કરાઈ રહ્યાં છે

મુંબઈ, 26: મુંબઈમાં કોવિડ કેસમાં થઈ રહેલા તોતિંગ વધારા સામે લડવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન (RF) દ્વારા તેના પ્રયાસોને વધુ તેજ ગતિએ વિસ્તાર્યા છે, જેનાથી મુંબઈ શહેરમાં કોવિડ મેનેજમેન્ટની જરૂરિયાતોને પહોંચી વળવા અને મહામારી સામે લડવાના સરકારના પ્રયાસો વધુ સઘન બનશે.

મહારાષ્ટ્ર સરકાર અને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) સાથે ગાઢ સંકલન સાધીને રિલાયન્સે મુંબઈમાં કોવિડ મહામારી સામે લડવામાં ચાર મહત્વની પહેલ હાથ ધરી છેઃ

1. સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા NSCI ખાતે 650 બેડ્સ ધરાવતી સુવિધાનું સંચાલન

RF નવા 100 ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ) તૈયાર કરશે અને તેનું સંચાલન પણ કરશે, જે 15 મે, 2021થી તબક્કાવાર કાર્યરત કરાશે.

વર્તમાનમાં કાર્યરત 550 બેડ્સ ધરાવતા વોર્ડનો કાર્યભાર સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ મે 1, 2021થી સંભાળશે.

સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (આર.એચ.એફ) કોવિડના દર્દીઓ માટે કુલ 650 બેડ્સનું સંચાલન કરશે

 દર્દીઓને ચોવીસ કલાક તબીબી સારવાર મળી રહે અને તેમની સુવિધાઓ સચવાય તે માટે તબીબો, નર્સિસ અને નોન-મેડિકલ પ્રોફેશનલ્સ સહિતના 500 ફ્રન્ટલાઇન વર્કર્સની ટીમને તૈનાત કરવામાં આવશે.

આઇસીયુ બેડ્સ અને મોનિટર, વેન્ટિલેટર્સ અને મેડિકલ ઇક્વિપમેન્ટ્સ સહિતના તમામ માળખાગત સુવિધાઓનો ખર્ચ અને 650 બેડ્સની સુવિધાનો તમામ ખર્ચ રિલાયન્સ ફાઉન્ડેશન ઉઠાવશે.

NSCI અને સેવન હિલ્સ હોસ્પિટલમાં કોવિડના તમામ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે.

2. ગત વર્ષે RF અને BMC દ્વારા સાથે મળીને મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલ ખાતે 225 બેડ્સ ધરાવતી ભારતની પહેલી કોવિડ હોસ્પિટલ તૈયાર કરી હતી. આ 225 બેડ્સમાંથી 100 બેડ્સ અને 20 આઇસીયુ ધરાવતા બેડ્સનું સંચાલન સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

સેવન હિલ્સ હોસ્પિટલમાં 25 આઇસીયુ બેડ્સના ઉમેરા સાથે ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. આ વિસ્તરણ થતાં RF હોસ્પિટલ દ્વારા સંચાલિત કુલ બેડ્સની સંખ્યા 125 થશે, જેમાં 45 આઇ.સી.યુ બેડ્સનો પણ સમાવેશ થાય છે.

3. કોવિડના હળવા તથા મધ્યમ લક્ષણો ધરાવતાં અને એસિમ્ટોમેટિક દર્દીઓની સારવાર માટે બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ ખાતે આવેલી ટ્રાયડન્ટ હોટેલમાં 100 બેડ્સની સુવિધા પણ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં બીએમસીની માર્ગદર્શિકાને અનુસરવામાં આવી છે. આ સુવિધાનું સંચાલન પણ સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે.

મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી, પ્રવાસન અને પર્યાવરણ મંત્રી, MCGMના વરિષ્ઠ અધિકારીઓ, રિલાયન્સ ફાઉન્ડેશન અને સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ વચ્ચે થયેલી એક બેઠકમાં ઉપરોક્ત નિર્ણયો લેવાયા હતા.

ઉપરોક્ત તમામ સુવિધાઓને ભેગી કરવામાં આવે તો NSCI, સેવન હિલ્સ હોસ્પિટલ અને બીકેસી સ્થિત ધ ટ્રાયડન્ટમાં RFH દ્વારા 145 આઇસીયુ સહિત કુલ 875 બેડ્સનું સંચાલન કરવામાં આવશે.

પરોપકારી કાયો કરતી કોઈપણ સંસ્થા દ્વારા મુંબઈમાં કોવિડ મહામારી સામેની લડાઈ માટે કરવામાં આવેલું આ સૌથી મોટું યોગદાન છે.

કોવિડની સારવાર અંગે સંકલિત સુવિધાઓના વિસ્તાર અંગે બોલતાં રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ કહ્યું કે, "રિલાયન્સ ફાઉન્ડેશન આપણા રાષ્ટ્રની સેવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે અને આ મહામારી સામેની ભારતની અવિરત લડાઈમાં યોગદાન આપવું એ અમારી ફરજ છે. અમારા ડોક્ટર્સ અને ફ્રન્ટલાઇન હેલ્થકેર સ્ટાફ થાક્યા વગર સતત તેમના કાર્યો કરી રહ્યા છે અને જરૂરિયાતમંદોને શક્ય એટલી શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી તેમની જિંદગી બચાવવા માટે પ્રયાસરત છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ મુંબઈમાં કુલ 875 બેડ્સની સુવિધાનું સંચાલન કરશે."

"અમે દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દમણ, દીવ અને નગર હવેલીને તદ્દન નિઃશુલ્ક આપી રહ્યા છીએ. આ પુરવઠાને આગામી દિવસોમાં વધારાશે. ભારત અને મુંબઈ શહેર માટે આકરી કસોટીના આ સમયમાં એક ભારતીય તરીકે દેશની સેવા કરવાના અમારા સમર્પણને અકબંધ રાખવા અમે પ્રતિબદ્ધ છીએ," તેમ શ્રીમતી નીતા અંબાણીએ ઉમેર્યું હતું.

ગત વર્ષે, રિલાયન્સ ફાઉન્ડેશને વિશ્વનો સૌથી મોટો ખાદ્યાન્ન આપૂર્તિ કાર્યક્રમ 'અન્ન સેવા' શરૂ કર્યો હતો, જેમાં 5.5 કરોડ થાળી ભોજન પૂરા પાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, રિલાયન્સ ફાઉન્ડેશને કોવિડ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે નીચે મુજબની પહેલ કરી હતીઃ

· મુંબઈના દેવનારમાં સ્પંદન હોલિસ્ટિક મધર-એન્ડ-ચાઇલ્ડ કેર હોસ્પિટલ ખાતે નવી કોવિડ કેર ફેસિલિટી શરૂ કરવા માટે સહાય કરી હતી.

· સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા બીએમસીના સહયોગ થકી એચબીટી ટ્રોમા હોસ્પિટલ, મુંબઈ ખાતે 10 પથારીઓ ધરાવતું ડાયાલિસિસ સેન્ટર સ્થાપિત કર્યું હતું.

(5:08 pm IST)