Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

પીએમ મોદી 157 પ્રાચીન કલાકૃતિઓ અને વસ્તુઓ સાથે લઈને ભારત આવશે

અમેરિકાએ ભારતને સોંપેલી કલાકૃતિઓમાં સાંસ્કૃતિક પ્રાચીન વસ્તુઓ, હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ સંબંધિત શિલ્પોનો સમાવેશ :મોટાભાગની કલાકૃતિઓ અને વસ્તુઓ 11મીથી 14 મી સદીની છે.

નવી દિલ્હી :  વડાપ્રધાન મોદી તેમનો અમેરિકા પ્રવાસ પૂરો કરીને ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા છે, પીએમ મોદી રવિવારે ભારત આવશે. વડાપ્રધાન  મોદી 157 પ્રાચીન કલાકૃતિઓ અને વસ્તુઓ પોતાની સાથે લાવશે. અમેરિકાએ વડાપ્રધાન મોદીને આ કલાકૃતિઓ અને વસ્તુઓ ભેટ સ્વરૂપે રજૂ કરી છે, જે બદલ વડાપ્રધાને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અમેરિકા દ્વારા ભારતને સોંપવામાં આવેલી કલાકૃતિઓમાં સાંસ્કૃતિક પ્રાચીન વસ્તુઓ, હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ સંબંધિત શિલ્પોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન કાર્યાલય - PMOએ એક નિવેદનમાં કહ્યું કે આમાંની મોટાભાગની કલાકૃતિઓ અને વસ્તુઓ 11મીથી 14 મી સદીની છે. PMO એ કહ્યું કે વડાપ્રધાન મોદીએ આ કલાકૃતિઓ પરત કરવા માટે અમેરિકાનો આભાર માન્યો. તેમના મતે, વડાપ્રધાન અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ચોરી, ગેરકાયદે વેપાર અને સાંસ્કૃતિક ચીજોની દાણચોરી રોકવાના પ્રયાસોને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે. આ 157 કલાકૃતિઓ અને વસ્તુઓમાં 10 મી સદીની રેતીના પથ્થરમાંથી કોતરવામાં આવેલી મૂર્તિ છે અને 12 મી સદીની ઉત્કૃષ્ટ નટરાજની 8.5 સેમીની કાંસાની મૂર્તિ છે.

PMO કહ્યું કે આમાંની મોટાભાગની વસ્તુઓ 11 મીથી 14 મી સદીની છે અને તમામ ઐતિહાસિક પણ છે. તેમાંથી 2000 પૂર્વેની એન્થ્રોપોમોર્ફિક કોપર ઓબ્જેક્ટ્સ અથવા બીજી સદીની ટેરાકોટા ફૂલદાની છે. લગભગ 71 પ્રાચીન સાંસ્કૃતિક કલાકૃતિઓ છે, જ્યારે બાકીના હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મથી સંબંધિત નાના શિલ્પો છે.

આ તમામ ધાતુ, પથ્થર અને ટેરાકોટાથી બનેલા છે. કાંસાની વસ્તુઓમાં લક્ષ્‍મી નારાયણ, બુદ્ધ, વિષ્ણુ, શિવ-પાર્વતી અને 24 જૈન તીર્થંકરોનો સમાવેશ થાય છે. ઓછી લોકપ્રિય કનકલામૂર્તિ, બ્રાહ્મી અને નંદીકેસા સહિત અન્ય ઘણી કલાકૃતિઓ પણ છે. PMO એ કહ્યું કે આ કેન્દ્ર સરકારના વિશ્વના વિવિધ ભાગોમાંથી દેશની પ્રાચીન કલાકૃતિઓ અને વસ્તુઓ પરત લાવવાના પ્રયાસોનો એક ભાગ છે.

(12:10 am IST)