Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

૨૪ કલાકમાં ૯૧૧૯ નવા કેસ : ૩૯૬ લોકોના મોત

૨૪ કલાકમાં ૧૦,૨૬૪ લોકો કોરોનાથી સાજા થયા : કોરોનાથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને ૩૩,૯૬૭,૯૬૨ થઇ

નવી દિલ્હી તા. ૨૫ : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯,૧૧૯ કેસ નોંધાયા છે અને ૩૯૬ લોકોના મોત થયા છે. કોરોનાના કુલ કેસની વાત કરીએ તો, તેમની સંખ્યા વધીને ૩૪,૫૪૪,૮૮૨ થઈ ગઈ છે. બીજી તરફ, જો આપણે કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વિશે વાત કરીએ, તો તે વધીને ૧૦૯,૯૪૦ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૨૬૪ લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોનાથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને ૩૩,૯૬૭,૯૬૨ થઈ ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૪૬૬, ૯૮૦ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૦,૨૭,૬૩૮ લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૧,૧૯,૩૮,૪૪,૭૪૧ રસીકરણ કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં કોરોનાની વાત કરીએ તો ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૫ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે હવે એક્ટિવ કેસની સંખ્યા ૩૧૧ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમણને કારણે કુલ મૃત્યુઆંક ૨૫,૦૯૫ પર પહોંચી ગયો છે. જયારે, ૨૦ નવા લોકો સ્વસ્થ હોવાના અહેવાલ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૪,૨૬૮ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી માત્ર ૦.૦૬ લોકો જ પોઝિટિવ આવ્યા છે. આ ઉંપરાંત, છેલ્લા ૨૪ કલાકમાં, ૧,૧૧,૩૯૫ લોકોને રસી આપવામાં આવી છે. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધીમાં ૨,૨૦,૬૩,૪૬૩ લોકોને રસી આપવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો, બુધવારે કોરોનાના નવાં ૨૯ કેસ નોંધાયા છે અને ૪,૫૨,૦૨૦ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. સોમવારે સૌથી વધુ અમદાવાદમાં ૧૩ કેસ નોંધાયા છે. નવાં ૨૯ કેસ સામે ૩૨ લોકો સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવતા એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને ૩૧૬ થઇ છે. આજે અમદાવાદમાં ૧૩, વડોદરમાં ત્રણ, વલસાડમાં ત્રણ, ગાંધીનગરમાં બે, રાજકોટમાં બે, સુરતમાં બે, અરવલ્લીમાં એક, ગીર-સોમનાથમાં એક, મોરબીમાં એક અને નવસારીમાં એક કેસ નોંધાયો છે.

 

(10:38 am IST)