Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

કેન્દ્ર સરકારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને આપી મંજૂરી

૧૫ ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ જશે : કોરોનાના લીધે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ હતી

નવી દિલ્હી, તા.૨૬ : ભારતમાં ૧૫ ડિસેમ્બરથી નિયમિત રૂપથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ જશે. કોરોનાના લીધે અત્યાર સુધી તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ હતી. બુધવારે જ નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓને ખૂબ જલદી જ સામાન્ય કરવાની આશા છે.

કોવિડ ૧૯ મહામારીના લીધે ગત વર્ષે માર્ચ બાદથી ભારતમાં આવનાર અને અહીંથી જનાર આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાન સેવાઓ બંધ હતી. તાજેતરમાં જ આ પ્રતિબંધ વધારવામાં આવ્યો હતો. અત્યારે ભારતે આંતરરાષ્ટ્રીય ઉડાનોના સંચાલન માટે ૨૫થી વધુ દેશો સથે એર બબલ કરાર કર્યો છે. એર બબલ કરાર બે દેશોની વચ્ચે ઉડાન સેવાઓને ફરીથી શરૂ કરવાની એક અસ્થાયી વ્યવસ્થા છે. દ્વિપક્ષીય 'એર બબલ' કરાર હેઠળ, બંને દેશોની એરલાઇન્સ કેટલીક શરતો સાથે આંતરરાષ્ટ્રીય ઉડાનો સંચાલિત કરી શકે છે.

ગત અઠવાડિયે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે સરકાર આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓને શરૂ કરવાની પ્રક્રિયાનું નિરિક્ષણ કરી રહી છે અને તેમણે કહ્યું કે સરકાર દુનિયાના કેટલાક ભાગોમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખતાં સેવાઓને સામાન્ય કરવા મા૬ગે છે. તેમણે કહ્યું હતું, 'અમે દુનિયામાં નાગરિક વિમાનન ક્ષેત્રને પોતાનું મુકામ ફરી સ્થાપિત કરવા અને ભારતમાં હબ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમે વિશ્વાસ રાખો, હું તમારી સાથે છું. આપણે મળીને કામ કરીશું, પરંતુ સુરક્ષિત વાતાવરણમાં.

(8:41 pm IST)