Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

દિલ્‍હીના ભગીરથ માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં ૧૫૦ દુકાનો ખાખ : ૩૦૦ કરોડનું નુકસાન

ભીષણ આગની ચિનગારીઓ હજુ પણ બળી રહી છે

નવી દિલ્‍હી તા. ૨૬ : ઉત્તર દિલ્‍હીના ચાંદની ચોક વિસ્‍તારમાં જથ્‍થાબંધ બજાર ભગીરથ માર્કેટમાં એક દિવસ પહેલા  લાગેલી ભીષણ આગની ચિનગારીઓ હજુ પણ બળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગમાં ૧૫૦ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આ ઘટનામાં ૨૫૦ થી ૩૦૦ કરોડનું નુકસાન થયું છે. બુલિયન એન્‍ડ જવેલર્સ એસોસિએશનના અધ્‍યક્ષ યોગેશ સિંઘલે આ માહિતી આપી છે. તેમણે એમ પણ જણાવ્‍યું કે થોડા દિવસો પહેલા કુંચા નટવન કાપડ માર્કેટ અને ગાંધીનગર કાપડ માર્કેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સાંકડી શેરીઓમાં ફાયર ટેન્‍ડરો ઉપલબ્‍ધ ન હોવાને કારણે આગ વધુ ફેલાતી હોવાથી નુકસાન વધુ થાય છે. સરકાર વેપારીઓની માંગણીઓ પર ધ્‍યાન આપી રહી નથી.

યોગેશ સિંઘલે સરકાર પાસે બે માંગણીઓ કરી છે. જેમાં સૌપ્રથમ માંગણી છે કે સરકાર સાંકડી શેરીઓમાં પાણીની લાઈનો નાંખીને બોરિંગની મંજૂરી આપે, જેથી પાણીનો સંગ્રહ કરીને તાત્‍કાલિક આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો થઈ શકે. બીજી તરફ બીજી માંગણીમાં વીજ વિભાગ દ્વારા મીટર લોડની ચકાસણી કરાવી દરેક મીટરને અલગ બોક્‍સમાં બેસાડવામાં આવે તેવું જણાવ્‍યું હતું. MCV પણ લગાવો, જેનાથી આગને ઘણી હદ સુધી રોકી શકાય.

ગુરૂવારે સાંજે મહાલક્ષ્મી માર્કેટ વિસ્‍તારની એક દુકાનમાં આગ લાગી હતી, જે તરત જ અન્‍ય દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. તમામ દુકાનો ઈલેક્‍ટ્રીકલ સાધનોની હતી. ફાયર વિભાગના જણાવ્‍યા અનુસાર, તેમને ગુરુવારે રાત્રે ૯.૧૯ કલાકે આગની માહિતી મળી હતી. ફાયરની ૪૦ ગાડીઓને તાત્‍કાલિક સ્‍થળ પર મોકલવામાં આવી હતી. ભારે જહેમત બાદ ૧૨ કલાકથી વધુ સમય બાદ આગ પર કાબુ મેળવ્‍યો હતો. અત્‍યારે ૨૨ ફાયર એન્‍જિન સ્‍પાર્ક્‍સને ઠંડુ કરવામાં વ્‍યસ્‍ત છે.

 પોલીસના જણાવ્‍યા અનુસાર, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્‍યો છે. આગ ફરી ન ભડકે તે માટે બળી ગયેલા ભાગોને ઠંડા કરવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ઘટના દરમિયાન પાંચ ઈમારતો પ્રભાવિત થઈ હતી, જેમાંથી ત્રણ દુકાનો બચાવ કામગીરી દરમિયાન ધરાશાયી થઈ હતી.

(10:18 am IST)