Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

રિચા ચઢ્ઢાની ગલવાન પરની ટ્વીટ પર મ.પ્ર.ના મંત્રીએ વાંઘો ઊઠાવ્યો

ટ્વીટર પર બોલિવૂડ ફિલ્મોના બોયકોટનો ટ્રેન્ડ ફરી શરૃ : ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે રિચાની ટીકા કરી, તેની આગામી ફિલ્મ ફુકરે ૩નો બહિષ્કાર કરવા અપીલ કરી

મુંબઈ, તા.૨૬ : ટ્વિટર પર બોલિવૂડ ફિલ્મોના બોયકોટનો ટ્રેન્ડ ફરી પાછો ફર્યો છે અને આ વખતે અભિનેત્રી રિચા ચઢ્ઢા કારણ છે, જેણે ભારતીય સેના પર ટ્વિટ કરીને વિવાદને જન્મ આપ્યો છે. જો કે અભિનેત્રીએ તેના નિવેદન માટે માફી માંગી લીધી છે. પરંતુ, નેટીઝન્સ તેને માફ કરવા તૈયાર નથી. રિચા ચઢ્ઢાએ હાલમાં જ ગલવાનને લઈને ટ્વીટ કરીને એક નવા વિવાદને જન્મ આપ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે રિચા ચઢ્ઢાની ટીકા કરી છે અને તેની આગામી ફિલ્મ 'ફુકરે ૩'નો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. એક યુઝરે લખ્યું, 'ભારતીય સેનાની સામે તમારા લોકોનું શું સ્ટેટસ છે. પૈસા માટે તમે કંઈ પણ કરી શકો છો. તમે જે કહ્યું છે, તેના માટે તમને શરમ આવે છે. 'ફુકરે ૩' નો બહિષ્કાર કરો.' કોઈએ લખ્યું, 'બહિષ્કાર ચાલુ છે, હવે 'ફુકરે ૩' નો વારો છે. ભારતીય સેનાનું અપમાન કરવા બદલ રિચા ચઢ્ઢાની 'ફુકરે ૩'નો બહિષ્કાર કરો. 'ફુકરે ૩' ૨૦૧૩માં શરૃ થયેલી હિટ સિરીઝનો ત્રીજો હપ્તો છે.

આટલું જ નહીં, સામાન્ય લોકોની સાથે સાથે બોલિવૂડ સેલેબ્સ જેમ કે ફિલ્મમેકર અશોક પંડિત, કેકે મેનન, અક્ષય કુમાર, અનુપમ ખેર અને વિવેક અગ્નિહોત્રી પણ રિચાના ટ્વીટ પર વાંધો ઉઠાવી રહ્યા છે. હવે મધ્યપ્રદેશના ગૃહ મંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ પણ રિચાના સેના વિરુદ્ધ કરેલા ટ્વિટ પર વાંધો વ્યક્ત કર્યો છે.

સેના વિરુદ્ધ નિવેદન આપવા બદલ રિચા ચઢ્ઢાની મુશ્કેલી વધી રહી છે. મધ્યપ્રદેશમાં રિચા સામે આ ટ્વીટને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ પોલીસને કાયદાકીય રાય લેવા માટે કહ્યું છે. રિચા ચઢ્ઢાને સલાહ આપતા કહ્યું કે, તેઓ સેનાનું સમ્માન કરતા શીખે.

નરોત્તમ મિશ્રાએ રિચા ચઢ્ઢાને સલાહ આપતા કહ્યું કે, 'રિયલ લાઈફ અને રીલ લાઈફમાં અંતર સમજો આ સેના છે સિનેમા નથી.' રિચા ચઢ્ઢાની ટિપ્પણી રાષ્ટ્ર ભક્તોને દુઃખ પહોંચાડનારી છે.

રિચાએ આ અઠવાડિયાની શરૃઆતમાં ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન સાથેની એક પોસ્ટ ટ્વીટ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પાછું લેવા માટે તૈયાર છે, જો તેને આદેશ આપવામાં આવે તો. સ્ટેટમેન્ટ શેર કરતી વખતે રિચાએ લખ્યું, 'ગલવાન હાય કહી રહ્યુ છે'. અનુપમ ખેર, અક્ષય કુમાર, કેકે મેનન જેવી બોલિવૂડ હસ્તીઓએ રિચાની નિંદા કરી છે. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે રિચા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બાદમાં, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (એફડબલ્યુઆઈસીઈ) એ મહારાષ્ટ્રની રાજ્ય સરકાર અને પોલીસ સત્તાવાળાઓને નિવેદનની 'યોગ્ય સંજ્ઞાન' લેવા અને રિચા સામે જરૃરી પગલાં લેવાની અપીલ કરી.

(7:24 pm IST)