Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

દરેકને ત્રીજા ડોઝ નહીં આપવામાં આવેઃ બીજા દેશો કોરોનાને લઈને શું કરી રહ્યા છે તેનું આપણે આંધળું અનુકરણ ન કરવું જોઈએ

કોરોનાની રસીના બૂસ્‍ટર ડોઝ અંગે ભારતીય વૈજ્ઞાનિકોને શંકા થઈ રહી છે : અન્‍ય દેશો શું કરે છે તેમ કરવાના બદલે આપણી નીતિ બનાવવી જોઈએ

નવી દિલ્‍હી, તા.૨૭: કોરોના વાયરસની ત્રીજી લહેર ભારતમાં ચાલી રહી છે. મેડિકલ સ્‍ટાફ અને ૬૦ વર્ષથી ઉપરના લોકો માટે બૂસ્‍ટ ડોઝની શરુઆત કરવામાં આવી છે. જોકે, હવે આ અંગે અન્‍ય કેટલાક વિચારો પણ સામે આવી રહ્યા છે. સત્તાવાર સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે, સરકાર ટૂંક સમયમાં કોરોનાની રસીના બૂસ્‍ટ ડોઝ અંગે ફરી વિચાર કરી શકે છે, કારણ કે વૈજ્ઞાનિક એક્‍સપર્ટનું માનવું છે કે ત્રીજા ડોઝનો લાભ અન્‍ય ઉંમરના સમૂહને નહીં થાય.
એક સિનિયર અધિકારીએ અમારા સહયોગી ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્‍યું કે, ‘પ્રિકોશન ડોઝ' હેલ્‍થકેર વર્કર્સ અને જેમની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે અને તેઓ અન્‍ય ગંભીર બીમારીથી પીડાય છે તેમને આપવાનું યથાવત રાખવામાં આવશે.
અધિકારીએ વધુમાં જણાવ્‍યું કે, બૂસ્‍ટર ડોઝ અંગે ફરી વિચારણા કરવામાં આવશે. આ પોલિસી.. અંગે વિચારવું પડશે. બૂસ્‍ટર ડોઝ દ્વારા કેસને રોકવામાં કોઈ દેશમાં સફળતા મળી નથી. આ સિવાય બીજ દેશ શું કરી રહ્યા છે તેનું આપણે આંધળું અનુકરણ ના કરી શકીએ. આપણે આપણા પોતાના એપિડેમિયોલોજી અને સાયન્‍સના આધારે મૂલ્‍યાંકન કરીને નિર્ણય લેવો જોઈએ.
કોરોના અંગેનું ઈમ્‍યુનાઈઝેશન પરનું રાષ્ટ્રીય ટેક્‍નિકલ એડવાઈઝરી ગ્રુપ (NTAGI) અને WHO વચ્‍ચે મંગળવારે મહત્‍વની બેઠક યોજાઈ હતી, જયાં બૂસ્‍ટર ડોઝ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અધિકારીના જણાવ્‍યા પ્રમાણે, WHO અને NTAGI એક્‍સપર્ટ્‍સના સભ્‍યો દ્વારા જે દેશમાં બૂસ્‍ટર ડોઝ આપવામાં આવ્‍યા છે તે દેશના આંકડાને લઈને અભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો. આ સાથે એક્‍સપર્ટ્‍સ દ્વારા ઈન્‍ફેક્‍શનની પેટર્ન્‍સ, વાયરસનો વ્‍યવહાર, નવા વેરિયન્‍ટ અને વાયરલ લોડ અંગે પણ વિચાર કરવામાં આવ્‍યો હતો.
૧૦ જાન્‍યુઆરીથી હેલ્‍થકર્મી અને ફ્રન્‍ટલાઈન વર્કર્સ તથા ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકોને રસીના બૂસ્‍ટર ડોઝ આપવામાં આવી રહી છે, ત્‍યારથી અત્‍યાર સુધીમાં ૮૬.૮૭ લાખ ડોઝ આપવામાં આવ્‍યા છે. સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય મુજબ દેશમાં લગભગ ૩ કરોડ હેલ્‍થકેર વર્કર્સ અને ફ્રન્‍ટલાઈન વર્કર્સ છે, જેઓ બૂસ્‍ટર ડોઝ માટે સક્ષમ છે. આ સિવાય દેશમાં ૨.૭૫ કરોડ ૬૦ વર્ષથી વધુ ઉમરના ગંભીર બીમારીથી પીડાતા લોકો છે.
દેશની બહાર થયેલા કેટલાક અભ્‍યાસમાં જોવા મળ્‍યું છે કે, બૂસ્‍ટર ડોઝ SARS-CoV2 સામે વધારે સારી રીતે રક્ષણ આપી શકે છે, આ સિવાયના અભ્‍યાસમાં જોવા મળ્‍યું કે ત્રીજો ડોઝ લીધા પછીના અમુક અઠવાડિયામાં જ એન્‍ટીબોડી લેવલ બની જાય છે.


 

(10:18 am IST)