Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

કર્ણાટક -તામિલનાડુના એકસપર્ટસનો દાવો

દરેક રાજ્યમાં કોરોનાની બીજી લહેર આવવાની જ છે

આજે નહીં તો કાલે દરેક રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર આવવાની જ છે : વાયરસ એક દિવસ તો દરેકને ઝપેટમાં લેશે જ : એકસપર્ટસે કહ્યું કે, જયારે લહેર ધીમી પડે છે ત્યારે લોકો નિશ્ચિત બની જાય છે અને તેના કારણે કેસો ફરી વધવા લાગે છે. : કેસોની બાબતમાં ભારત કરતા ૩થી ૪ મહિના આગળ ચાલી રહેલા યુએસ અને યુકેમાં પણ બીજી લહેર આવી હતી. : એકસપર્ટસ મુજબ ભારતમાં યુવાનોની સંખ્યા વધુ હોવાથી અહીં સંક્રમણની તીવ્રતા ઓછી હોઈ શકે છે.

બેંગલુરૂ,તા.૨૭:  કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે, જેને કોરોનાની બીજી લહેર કરવામાં આવી રહી છે. કર્ણાટક અને તમિળનાડુના એકસપર્ટસના જણાવ્યા મુજબ, અન્ય રાજયોમાં પણ આજે નહીં તો કાલે આવી સ્થિતિ આવશે જ. 'કોરોના વાયરસ, તેના વેરિયટન્સ અને વેકિસનેશન' પર ગુરુવારે ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક દ્વારા આયોજિત પેનલ ડિસ્કશનમાં એકસપર્ટસે કહ્યું કે, (કોરોનાની) બીજી લહેર 'નિશ્ચિત છે'.

શું ભારત બીજી લહેરનો સામનો કરી રહ્યું છે? તેના પર ચેન્નઈની એપોલો હોસ્પિટલના ચેપી રોગોના નિષ્ણાંત ડો. વી રામાસુબ્રમણિયમે કહ્યું કે, યુકે અને યુએસ સહિતના દેશો કે જે ભારત કરતા કેસોની બાબતમાં ત્રણથી ચાર મહિના આગળ છે, તેમાં બીજી લહેર આવી હતી. તેમણે કહ્યું કે, 'ભારતમાં બીજી લહેર ન આવવાનું મને કોઈ કારણ જણાતું નથી. પરંતુ શકયતા છે કે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં તેની તીવ્રતા ઓછી હોઈ શકે છે, કેમકે ભારતમાં યુવાનોની સંખ્યા વધુ છે.'

નિમ્હાન્સના ડિપાર્ટમેન્ટ ઓફ ન્યુરોવાયરોલોજીના પૂર્વ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને કર્ણાટક કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. વી રવિએ કહ્યું કે, ભારત બીજી લહેરથી બચી નહીં શકે. તેમણે કહ્યું કે, 'મોટાભાગના લોકો એવું માની રહ્યા છે કે આપણે બધાથી અલગ છીએ, પરંતુ વાયરસ એક દિવસ તો દરેકને ઝપેટમાં લેશે જ.'

તેમણે કહ્યું કે, જયારે કેસોમાં મોટો ઉછાળો આવશે ત્યારે જ લોકો જવાબદારી પૂર્વક વર્તશે અને ટેસ્ટિંગની સંખ્યા પણ વધશે. તેમણે કહ્યું કે, 'એક વાર લહેર ધીમી પડે, એટલે લોકો નિશ્ચિત બની જાય છે.' ડો. રવિએ કહ્યું કે, 'કેરળ તેનું ઉદાહરણ છે. જયારે કેસો વધારે હતા ત્યારે ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ નહીં. કોઈપણ મહામારીની બીજી લહેર આવે જ છે.'

ડો. રામાસુબ્રમણિયમે જણાવ્યું કે, તમિળનાડુમાં જયારે કેસો વધી રહ્યા હતા ત્યારે દર્દીઓના આંકડા ઓછા બતાવવા માટે ઘણું દબાણ હતું. તેમણે કહ્યું કે, 'પરંતુ એકસપર્ટસએ એવું ન કર્યું અને મોટાપ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ રાખ્યું. જોકે, કેરળે તેમ ન કર્યું.'

કર્ણાટકનું ઉદાહરણ આપતા ડો. રવિએ કહ્યું કે, 'રાજ્યએ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા ૧૦ લોકોના ટેસ્ટ કર્યા હતા. તેના કારણે અને દિવસમાં ૧.૨ લાખ ટેસ્ટ કરી શકયા હતા. હવે, તેની સંખ્યા ઘટીને દિવસના ૭૫,૦૦૦ ટેસ્ટ થઈ ગયા છે.'

તેમણે કહ્યું કે, 'રાજ્યના આરોગ્ય વિભાગે ટેકનિકલ એકસપર્ટ કમિટીને ટેસ્ટ ઘટાડવા અંગે પૂછ્યું હતું, પરંતુ અમારો જવાબ 'ના'હતો.' ડો. રવિએ કહ્યું કે, 'જો અમે ઓછા ટેસ્ટ કરીશું તો કેસોમાં ઉછાળો આવશે. વાયરસને હરાવવા માટે ટેસ્ટિંગ શકિતશાળી શસ્ત્ર છે. આપણે દરેક સંક્રમિત વ્યકિતને શોધવો અને તેનો ટેસ્ટ કરવો જરૂરી છે, કેમકે તે વાયરસના ફેલાવાનો સૌથી મોટો સ્ત્રોત બની શકે છે.'

(10:14 am IST)