Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ગુજરાતના આઈ.પી.એસ. ડ્રગ્સ એંગલની તપાસ કરે છે

સુશાંત આત્મહત્યાકેસમાં નાર્કોટિક્સની ટીમ સામેલ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાના સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે

અમદાવાદ,તા.૨૭ : બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો કેસ દરરોજ એક નવો વળાંક લઈ રહ્યો છે. હવે આ હાઇ પ્રોફાઇલ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યું છે. રિયા ચક્રવર્તીની ચેટના ખુલાસામાં ડ્રગ્સ એંગલ સામે આવ્યું છે. હવે સીબીઆઈની સાથે આ મામલે નાર્કોટિક્સની ટીમ પણ સામેલ થશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડિરેક્ટર જનરલ રાકેશ અસ્થાના સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે. ચાલો જાણીએ...લાલુપ્રસાદ યાદવથી માંડીને આસારામ બાપુ અને ગોધરા કાંડની ઘટનાની તપાસમાં જોડાયેલા રાકેશ અસ્થાના કોણ છે? સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરવા અને મુંબઈમાં સીબીઆઈની તપાસમાં સહયોગ આપવા માટે નાર્કોટિક્સ એજન્સીની એક ટીમ દિલ્હીથી આવશે. નાર્કો ચીફ રાકેશ અસ્થાનાની ગણતરી તેજતર્રાર અધિકારીઓમાં થાય છે.

              રાંચીમાં જન્મેલા અસ્થાના મૂળ ઉત્તર પ્રદેશના આગ્રાની રહેવાસી છે. દિલ્હીના જેએનયુમાં ભણેલા અસ્થાનાએ પ્રથમ પ્રયાસમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને ૧૯૮૪માં ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી બન્યા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષની હતી. વર્ષ ૧૯૯૬માં રાકેશ અસ્થાનાનું નામ હેડલાઇન્સમાં આવ્યું હતું. બિહારના બહુચર્ચિત ઘાસચારા કૌભાંડ કેસમાં તપાસની જવાબદારી રાકેશ અસ્થાનાને મળી હતી. તે સમયે કોઈ પણ અધિકારી લાલુની સામે કેસમાં હાથ મૂકવા તૈયાર નહોતા. આવી સ્થિતિમાં રાકેશે કેટલાક કલાકો સુધી બેસીને લાલુની પૂછપરછ કરી. તેમણે રાજનીતિક દબાણની ચિંતા કર્યા વગર લાલુ સામે ચાર્જશીટ રજૂ કરી. આ પછી લાલુને ૧૯૯૭માં જેલમાં જવું પડ્યું હતું. આ ઘટના બાદ રાકેશ અસ્થાનાનું નામ હેડલાઇન્સમાં આવ્યું હતું. એન્ટી કરપ્શન બ્યુરોના એસપી તરીકે રાકેશ અસ્થાનાએ ધનબાદના ડીજીએમએસને લાંચ લેતા ધરપકડ કરી હતી. આ પહેલી વખત હતું જ્યારે આ રેક્નનો અધિકારી લાંચ લેતા પકડાયો હતો. તેઓ ૧૯૯૪માં પુરૂલિયા આર્મ્સ ડ્રોપ કેસની ફીલ્ડ ઇન્વેસ્ટિગેશન સુપરવિઝનમાં સામેલ હતા.

                રેકોર્ડ સમયમાં તપાસ પૂર્ણ કરીને કેસ સોલ્વ કરવાની વિશેષતા ધરાવતા અસ્થાનાના ખાતામાં ૨૦૦૨ના ગોધરાકાંડ અને ૨૦૦૮ના અમદાવાદ બ્લાસ્ટની તપાસ કેસો નોંધાયેલા છે. ફેબ્રુઆરી ૨૦૦૨માં સાબરમતી ટ્રેન સળગી ગયા બાદ ગુજરાતના ગોધરામાં તોફાનો ફાટી નીકળ્યા હતા. રમખાણોની તપાસ માટે રચાયેલી એસઆઈટીનું નેતૃત્વ રાકેશ અસ્થાનાએ કર્યું હતું. ત્યારબાદ એસઆઈટીએ આયોજિત રીતે કારસેવકોથી ભરેલી ટ્રેનને આગ લગાડવાની યોજના બનાવી હતી. આ પછી જુલાઈ ૨૦૦૮માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયો હતો. બોમ્બ બ્લાસ્ટની તપાસનું કામ રાકેશને આપવામાં આવ્યું હતું. અસ્થાનાએ બ્લાસ્ટ કેસને ફક્ત ૨૨ દિવસમાં હલ કરીને દાખલો બેસાડ્યો હતો.  વર્ષ ૨૦૧૪માં રાકેશ અસ્થાનાએ આશ્રમની યુવતી સાથે બળાત્કાર કરવા મામલે આસારામ બાપુ અને તેના પુત્ર નારાયણ સાંઈની પણ તપાસ કરી હતી. ફરાર થયેલા નારાયણ સાંઈને હરિયાણા-દિલ્હી બોર્ડર પરથી ઝડપી લેવાયો હતો. રાકેશ અસ્થાન સુરત અને વડોદરા જેવા શહેરોમાં પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૬માં અસ્થાનાને સીબીઆઈનો એડિશનલ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન તેમની સાથે વિવાદ થયો હતો, જે અંતર્ગત સીબીઆઈએ તેમની વિરુદ્ધ લાંચનો કેસ નોંધ્યો હતો. જોકે બાદમાં તેમને આ કેસમાં કોર્ટ તરફથી ક્લિનચીટ મળી ગઈ હતી. સીબીઆઈ ચીફ આલોક વર્મા સાથેના તેમના મતભેદો પણ પ્રકાશમાં આવ્યા હતા.

(7:27 pm IST)