Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

દાઉદના નામ સાથે મારે કોઈ સબંધ નથી : જ્ઞાનદેવ વાનખેડે

સમીર વાનખેડેના પિતાનો નવાબ મલિકને જવાબ : જન્મથી અને કોલેજ તેમજ લિવિંગ સર્ટિફિકેટમાં પણ નામ જ્ઞાનદેવ છે અને હજી પણ તે જ હોવાની સ્પષ્ટતા

મુંબઈ, તા.૨૬ :  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના (એનસીબી) ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના પિતાએ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકને વળતો જવાબ આપ્યો હતો, જેમણે વાનખેડેના બર્થ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ્સ નકલી હોવાનો દાવો કર્યો હતો. સોમવારે નવાબ મલિકે તેવો પણ દાવો કર્યો હતો કે, સમીર વાનખેડે જન્મથી મુસ્લિમ છે અને તેથી તેમનું અસલી નામ 'સમીર દાઉદ વાનખેડે' છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિક છેલ્લા ઘણા સમયથી ૨ ઓક્ટોબરે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાં દરોડા પાડીને ડ્રગ્સ જપ્ત કરનારા સમીર વાનખેડે પર શાબ્દિક હુમલો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૃખ ખાનના દીકરા આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી છે. સમીર વાનખેડેના પિતાએ સોમવારે રાતે મીડિયા સમક્ષ એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે 'મારું અસલી નામ જ્ઞાનદેવ વાનખેડે છે. જન્મથી જ મારુ નામ જ્ઞાનદેવ છે અને હજી પણ તે જ છે. સ્કૂલ, કોલેજ તેમજ લિવિંગ સર્ટિફિકેટમાં પણ મારું નામ જ્ઞાનદેવ વાનખેડે છે. દાઉદ નામ સાથે મારે કોઈ સંબંધ નથી. તેઓ ક્યાંથી આ ખોટી ખબર લઈ આવ્યા તે મને ખબર નથી.

        તેઓ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. મેં મારું ગ્રેજ્યુએશન અને પોસ્ટ-ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે અને રાજ્યના સરકારી વિભાગમાં સેવા પણ આપી છે. તે કેવી રીતે શક્ય છે કે તેમાંથી કોઈને ખબર ન હોય કે મારું નામ જ્ઞાનદેવ નથી અને દાઉદ છે? મલિક આવા શંકાસ્પદ ડોક્યુમેન્ટ ત્યાંથી લઈ આવ્યા?'. સમીર વાનખેડેએ પણ સોમવારે નવાબ મલિકના આરોપો પર પ્રતિક્રિયા આપતા એક સ્ટેટમેન્ટ બહાર આપ્યું હતું અને તેમા તેમણે કહ્યું હતું કે 'મારા ધ્યાનમાં આવ્યું છે કે, મહારાષ્ટ્ર સરકારના માનનીય મંત્રી નવાબ મલિકે તેમના ટ્વિટર પર કેટલાક ડોક્યુમેન્ટ્સ શેર કર્યા છે અને આરોપ લગાવ્યો છે કે 'સમીર દાઉદ વાનખેડે' અહીંયાથી બધુ શરૃ થયું છે. આ બાબતમાં હું કહેવા માગીશ કે, મારા પિતા શ્રીમામ જ્ઞાનદેવ વાનખેડે ૩૦ જૂન, ૨૦૦૭ના રોજ સ્ટેટ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટમાંથી વરિષ્ઠ પોલીસ અધિકારી તરીકે નિવૃત થયા છે. મારા પિતા હિંદુ છે અને મારા દિવંગત મારા ઝહીદા મુસ્લિમ હતા. હું બિનસાંપ્રદાયિક પરિવારનો છું અને મને મારા વારસા પર ગર્વ છે. મેં ૨૦૦૬માં ડો. શબાના કુરેશી સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ, ૧૯૫૪ હેઠળ સિવિલ મેરેજ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૬માં અમે પરસ્પર સમજૂતીથી સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ અલગ થયા હતા.

(12:00 am IST)