Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ડ્રગ્સ કેસમાં કિરણ ગોસાવી લખનૌમાં સમર્પણ કરશે?

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મહત્વની માહિતી બહાર આવી : આ કેસમાં કિરણ ગોસાવીનું નિવેદન ખૂબ જ મહત્વનું સાબિત થઇ શકે અને નવો વળાંક લાવી શકે છે

મુંબઇ, તા.૨૬ :  શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં મહત્વની માહિતી બહાર આવી છે. હાલમાં જ આર્ન ખાન સાથેના ફોટાને લીધે વિવાદમાં રહેલા તથા મહત્વના સાક્ષી કિરણ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સેલે આ અંગે દાવો કર્યો હતો કે, એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના કહેવા પર આર્યન ખાનને છોડવા માટે ૨૫ કરોડ રુપિયાની ડીલ થઇ છે. હવે કિરણ ગોસાવી જાતે જ લોકો સામે આવી શકે છે અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવી શકે છે. કિરણ ગોસાવી કેસની પરિસ્થિતિઓને જોતાં લખનઉ ખાતે સરેન્ડર કરે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ હાઇ પ્રોફાઇલ કેસમાં એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવામાં આવી રહ્યા છે. અહીં સુધી કે એનસીબી જાતે જ એના અધિકારી વિરુદ્ધ તપાસના આદેશ આપી ચૂકી છે. એવામાં કિરણ ગોસાવીના ખુલાસા આ કેસને નવો વળાંક આપી શકે છે.

     જોકે કિરણ ગોસાવીએ પ્રભાકર સેલના તમામ દાવાને ફગાવી દીધા છે. ગોસાવીનું કહેવુ છે કે, જો પ્રભાકરે લગાવેલા આરોપ સાચા છે તો એના પૂરાવા પણ એની પાસે હોવા જોઇએ. આ સિવાય, કિરણ ગોસાવીનું એમ પણ કહેવુ છે કે, પોતે સરેન્ડર કરવા ઇચ્છે છે પરંતુ રાજકીય મુદ્દાને લીધે અત્યાર સુધી અન્ડરગ્રાઉન્ડ રહ્યો હતો. ગોસાવીએ એવો ડર પણ વ્યક્ત કર્યો હતો કે, મારી ધરપકડ પછી આ કેસમાં મારા પરિવારને પણ ઢસડવામાં આવશે. કિરણ ગોસાવીનું કહેવુ છે કે, હું ક્રૂઝ ડ્રગ્સ કેસની હકીકતનો ખુલાસો કરવા માંગુ છું, પરંતુ કેસના વર્તમાન સ્થિતિને જોતાં મુંબઇ પોલીસ સમક્ષ સરેન્ડર કરવાની જગ્યાએ હું અન્ડરગ્રાઉન્ડ રહ્યો હતો.

        ઉલ્લેખનીય છે કે, બીજી ઓક્ટોબરે એનસીબીએ મુંબઇથી ગોવા જતાં ક્રૂઝ શિપ પર દરોડા પાડી રેવ પાર્ટી કરી રહેલા લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં આર્યન ખાન જેલમાં છે અને કોર્ટે એની જામીન અરજી નામંજૂર કરી રહી છે. એવામાં આ કેસની તપાસ કરી રહેલા એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પણ ચર્ચાનો વિષય બની રહ્યા છે. આ કેસની તપાસ દરમિયાન તેમની પર લાંચ લેવાના ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક પણ આ અંગે સમીર વાનખેડેને નોકરી લઇ લેવાની ધમકી પણ આપી ચૂક્યા છે. એવામાં આરોપોને ફગાવી રહેલા સમીર વાનખેડે વિરુદ્ધ એનસીબી જ તપાસના આદેશ આપી ચૂકી છે. આ કેસ દરમિયાન કિરણ ગોસાવીનું નિવેદન ખૂબ જ મહત્વનું સાબિત થઇ શકે છે. જે આ કેસમાં નવો વળાંક લાવી શકે છે.

(12:00 am IST)