Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

સર્વિસ ટેકસ વિભાગના આંધળુંકિયા હજારો કરદાતાઓને નોટિસ ફટકારી

સર્વિસ ટેકસ લાગુ જ નથી પડતો તેમને નાણાં ભરવા ફરમાન : વિભાગની આડેધડ કામગીરીને કારણે સામી દિવાળીએ વેપારીઓની હાલત કફોડી

મુંબઇ, તા.૨૭: સર્વિસ ટેકસ ભરવાનો નથી તેવા કરદાતાઓને પણ આડેધડ નોટીસ ફટકારવામાં આવતા વિવાદ ઉભો થયો છે. તેમાં પણ પાંચ વર્ષ પુરા થતા હોય તેવા કરદાતાઓને નોટીસ આપવાની છેલ્લી તારીખ હોવાના લીધે હજ્જારો કરદાતાઓને  સર્વિસ ટેકસ વિભાગે નોટીસ ફટકારી છે.

સર્વિસ ટેકસનુ એસેસમેન્ટ કરવા માટે પાંચ વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. તેના કારણે વર્ષ ૨૦૧૬-૧૭ આકરણી વર્ષ માટેની કામગીરી વર્ષ ૨૦૨૦-૨૧માં પુરી કરી દેવાની હોય છે.  જેથી સોમવારના રોજ અનેક કરદાતાઓને બીજ કર્વાટરની નોટીસ મોકલી આપવામાં આવી છે. જોકે તેમાં કરદાતા સર્વિસ ટેકસના દાયરામાં આવે છે કે નહીં તેની પણ પુરતી ચકાસણી કર્યા વિના કોઇ પણ કરદાતા બાકી નહીં રહી જાય તે પ્રમાણે નોટીસ આપવામાં આવી છે. જેથી સર્વિસ ટેકસ વિભાગની સામી દિવાળીએ આવી કામગીરી કરવામાં આવતા વેપારીઓની હૈયાહોળી શરુ થઇ છે. જોકે આ નોટીસ આપતી વખતે સર્વિસ ટેકસના અધિકારીઓએ એ જોવાની પણ દરકાર લીધી નથી કે કરદાતા દ્વારા કરવામાં આવતી કામગીરી સર્વિસ ટેકસના દાયરામાં આવે છે કે નહીં. પરંતુ એસેસમેન્ટ માટેનુ વર્ષ પુરુ થાય તે પહેલા જ કામગીરી કરવાની હોવાથી અધિકારીઓએ પણ જોવાની તસ્દી લીધા વિના પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટે આ કાર્યવાહી કરી છે. જેથી આગામી દિવસોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડવાની શકયતા નકારી શકાય તેમ નથી.(૨૩.૫)

ઇન્કમટેકસના ફોર્મ ર૬એના આધારે વિગત મેળવી નોટિસ કટકારી

જીએસટી અને ઇન્કમટેકસ વિભાગ વચ્ચે ડેટા અપલે કરવાના કરાર થયા હોવાના કારણે જીએસટી વિભાગે કેટલા લોકોએ ટીડીએસ ભરપાઇ કર્યો અને તેમાં કઇ કઇ કામગીરી હેઠળ ટીડીએસ કાપવામાં આવ્યો છે તેની જાણકારી મેળવી લીધી હતી. આ જાણકારી મેળવ્યા બાદ સર્વિસ ટેકસ વસુલવા માટે સીજીએસટીએ આડેધડ નોટીસ આપી છે. તેમાં અધિકારીઓએ કયા કયા કરદાતા સર્વિસ ટેકસમાં દાયરામાં આવતા નથી તેની પણ પુરતી જાણકારી મેળવ્યા બાદ ટીડીએસના ડેટાના આધારે કરદાતાઓને સર્વિસ ટેકસ ભરવા માટેની નોટીસ મોકલી મોટો મીર માર્યો હોય તે પ્રમાણેની કામગીરી કરતા વિવાદ સર્જાયો છે.(૨૩.૫)

આ ઉદ્યોગકારો સર્વિસ ટેકસના દાયરામાં આવતા નથી

કાપડ ઉદ્યોગ, ડાયમંડ ઉદ્યોગ, રોડ કોન્ટ્રાકટર, ગવર્મેન્ટના કોન્ટ્રાકટર લેનારાઓ સર્વિસ ટેકસમાં દાયરામાં આવતા નથી. તેમજ આ માટેનુ સત્તાવાર જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યુ છે. તેમ છતાં સીજીએસટીના અધિકારીઓએ આવા જાહેરનામાને જોયા વિના જ નાણાકીય વર્ષનુ બીજુ કવાટર પુરુ થતુ હોવાના લીધે નોટીસ ફટકારી દીધી છે. કારણ કે એપ્રિલ- મે અને જુન પહેલુ કવાટર ગણવામાં આવતુ હોય છે. તેની કામગીરી ૨૫ જુલાઇ સુધીમાં પુરી કરવાની હોય છે. ત્યારબાદ જુલાઇ- ઓગસ્ટ અને સપ્ટેમ્બર બીજુ કવાટર ગણવામાં આવતુ હોય છે. જેની કામગીરી રપ ઓકટોબર સુધીમાં પુરી કરવાનો નિયમ સર્વિસ ટેકસમાં બનાવવામાં આવ્યો હતો.

(10:13 am IST)