Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સરકારી કર્મચારીઓ આનંદો! નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરતી વખતે 8મા પગાર પંચની રજૂઆતની જાહેરાત કરી શકે છે:

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરી, 2023થી શરૂ થશે: તે દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ (બજેટ 2023) રજૂ થવામાં માત્ર 4 દિવસ બાકી છે. તમામ ક્ષેત્રના લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ સાથે જ સરકારી કર્મચારીઓને પણ આ બજેટથી ઘણી આશાઓ છે. સરકારી કર્મચારીઓ લાંબા સમયથી 8મા પગાર પંચ લાવવાની માગ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરતી વખતે 8મા પગાર પંચની રજૂઆતની જાહેરાત કરી શકે છે.

અત્યારે દેશમાં 7મું પગાર પંચ ચાલી રહ્યું છે. જો સરકાર 8મા પગાર પંચની જાહેરાત કરે છે તો સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. જો આમ થશે તો નીચેના સ્તરથી લઈને ટોચના સ્તર સુધીના સરકારી અધિકારીઓના પગારમાં વધારો થશે.

પગાર પંચ 10 વર્ષમાં આવે છે

કર્મચારીઓ માટે દર 10 વર્ષ પછી પગાર પંચ લાગુ કરવામાં આવે છે. અત્યાર સુધી આ પેટર્ન 5મા, 6મા અને 7મા પગાર પંચના અમલીકરણમાં જોવા મળી છે. કર્મચારીઓએ અગાઉ અનુમાન લગાવ્યું હતું કે, 8મું પગાર પંચ વર્ષ 2023માં આપવામાં આવશે અને તેની ભલામણો 2026માં લાગુ થઈ શકે છે.

બજેટ સત્રની 31 જાન્યુઆરીથી શરૂઆત

આ વખતે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરી, 2023થી શરૂ થશે. તે દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. સત્રમાં 27 બેઠકો હશે અને 6 એપ્રિલ સુધી ચાલશે. સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી રહેશે. લગભગ એક મહિનાના વિરામ બાદ બજેટ સત્રનો બીજો તબક્કો 12 માર્ચથી શરૂ થશે અને 6 એપ્રિલ સુધી ચાલશે

(7:56 pm IST)