Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ગેંગસ્ટર અબ્દુલ લતીફના જીવન પર કથિત આધારિત ફિલ્મ 'રઈસ' વિરુદ્ધ માનહાનિ કેસ : મૃતક અબ્દુલ લતીફના પુત્ર મુસ્તાક અહમદે અભિનેતા શાહરૂખ ખાન અને ફિલ્મ 'રઈસ'ના નિર્માતાઓ વિરુદ્ધ 101 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ દાખલ કર્યો હતો : ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણય પર 20 જુલાઈ સુધી રોક લગાવી

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને ફિલ્મ 'રઈસ'ના નિર્માતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા 101 કરોડ રૂપિયાના માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટના નિર્ણય પર 20 જુલાઈ સુધી સ્ટે આપ્યો છે.
નીચલી કોર્ટના આદેશને શાહરૂખ ખાન અને ફિલ્મ નિર્માતાઓએ પડકાર્યો હતો . આદેશમાં હાઈકોર્ટે 20 જુલાઈ સુધી નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવી છે. ટ્રાયલ કોર્ટના આદેશને શાહરૂખ ખાન, અભિનેતા ફરહાન અખ્તર, ફિલ્મ નિર્માતા રાહુલ ધોળકિયા અને અન્યોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

મૃતક ગેંગસ્ટર અબ્દુલ લતીફના પરિવારજનોએ આ કેસ દાખલ કર્યો છે. ફિલ્મ 'રઈસ' અબ્દુલ લતીફના કથિત જીવન પર આધારિત છે.

જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ સોમવારે આપેલા આદેશમાં ટ્રાયલ કોર્ટના નિર્ણય પર 20 જુલાઈ સુધી સ્ટે આપ્યો હતો.

ટ્રાયલ કોર્ટે મૂળ વાદી લતીફના પુત્ર મુશ્તાક અહેમદની વિધવા અને બે પુત્રીઓને ટ્રાયલમાં વાદી બનવાની મંજૂરી આપી હતી કારણ કે અહેમદનું 2020 માં અવસાન થયું હતું. હાઈકોર્ટે મુશ્તાક અહેમદના વારસદારોને પણ નોટિસ પાઠવી છે, જેનો જવાબ 20 જુલાઈએ આપવાનો છે.

2016માં અમદાવાદ સિવિલ કોર્ટમાં દાખલ કરાયેલા દાવામાં, અહેમદે દાવો કર્યો હતો કે 2017માં શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'રઈસ'એ તેની, તેના પિતા અને તેના પરિવારના સભ્યોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ અહેમદે 101 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી હતી.

2020 માં અહેમદના મૃત્યુ પછી, તેની વિધવા અને બે પુત્રીઓએ સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેને વાદી બનવા દેવા માટે વિનંતી કરી હતી, જેને કોર્ટે મંજૂરી આપી હતી.

તેની સામે શાહરૂખ ખાન, ફરહાન અખ્તર, ધોળકિયા અને પ્રોડક્શન કંપનીએ હાઈકોર્ટમાં જઈને નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. શાહરૂખ ખાનના વકીલ સલિક ઠાકોરે અહેમદની વિધવા અને બે પુત્રીઓને વાદી બનાવવાનો વિરોધ કરતા કહ્યું કે, વ્યક્તિના મૃત્યુ સાથે તેના સન્માનને નુકસાન થવાની વાત સમાપ્ત થઈ જાય છે.  તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(6:53 pm IST)