Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

પિતા બાદ હવે પુત્રએ સંભાળી કર્ણાટકની કમાનઃ જાણો કોણ છે બસવરાજ બોમ્મઈ

૬૧ વર્ષના બસવરાજ બોમ્મઈનો જન્મ ૨૮ જાન્યુઆરી ૧૯૬૦માં હુબલીમાં થયો હતોઃ પૂર્વ મુખ્યમંત્રી એસઆર બોમ્મઈના પુત્ર બસવરાજ કર્ણાટક ભાજપના મોટા નેતાઓમાં સામેલ છે

નવી દિલ્હી, તા. ર૮: બસવરાજ બોમ્મઈ કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બન્યા છે. તેમની ગણના શકિતશાળી લિંગાયત નેતા અને યેદિયુરપ્પાના નજીકના વિશ્વાસપાત્રોમાં થાય છે. બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ તેમની મુખ્યમંત્રી પદે પસંદગી કરવામાં આવી છે. યેદિયુરપ્પાએ તેમના નામનો પ્રસ્તાવ કર્યો અને ધર્મેન્દ્ર પ્રધાને તેમના નામની જાહેરાત કરી હતી. બુધવારે સવારે ૧૧ કલાકે બસવરાજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

૬૧ વર્ષના બસવરાજ બોમ્મઈનો જન્મ ૨૮ જાન્યુઆરી ૧૯૬૦માં હુબલીમાં થયો હતો. પૂર્વ મુખ્યમંત્રી એસઆર બોમ્મઈના પુત્ર બસવરાજ કર્ણાટક ભાજપના મોટા નેતાઓમાં સામેલ છે. તેમણે ભૂમારાદ્દી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીથી ૧૯૮૨માં બીઈની ડિગ્રી લીધી હતી. બસવરાજ બોમ્મઈના પત્નીનું નામ ચેન્નમ્મા છે અને તેમને બે બાળકો છે. બસવરાજ બોમ્મઈ આ વર્ષની શરૂઆતમાં કર્ણાટકના ગૃહમંત્રી બન્યા હતા. તે કર્ણાટક વિધાનસભાના ૨૦૦૪થી ૨૦૦૮ સુધી સભ્ય રહ્યા હતા.

તેમનું પૂરુ નામ બસવરાજ સોમપ્પા બોમ્મઈ છે. કર્ણાટકના ગૃહ, કાયદા અને સંસદીય મામલાના મંત્રી રહેલા બોમ્મઈએ હાવેરી અને ઉડુપી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે પણ કાર્ય કર્યુ હતુ. તે પહેલા તેમણે જળ સંસાધન અને સહકારિતા મંત્રીના રૂપમાં કાર્ય કર્યુ હતું.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસઆર બોમ્મઈના પુત્ર બસવરાજે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમણે કરિયરની શરૂઆત ટાટા સમૂહ સાથે કરી હતી. જનતા દળથી પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી. તેઓ ૨૦૦૮માં ભાજપમાં સામેલ થયા હતા. ત્યારબાદ તેમણે સતત પ્રગતિ કરી છે. ત્યારથી તેઓ ભાજપ પાર્ટી અને સરકારમાં મહત્વપૂર્ણ પદ સંભાળી રહ્યા છે.

પહેલા માનવામાં આવી રહ્યુ હતુ કે  લિંગાયત સમુદાયથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર પસંદ કરવાની પ્રાથમિકતા હશે, કારણ કે કર્ણાટકમાં લગભગ ૧૭ ટકાની વસ્તીવાળા લિંગાયતનો રાજનીતિમાં મોટો પ્રભાવ છે. વિધાનસભા પ્રમાણે લગભગ ૩૦ ટકા સીટો પર તેમનો પ્રભાવ છે. તેવામાં ભાજપ આ સમુદાયને નારાજ કરવા ઈચ્છતુ નથી. તેવા નામને નકારી દેવામાં આવ્યા જેમાં યેદિયુરપ્પાની સીધી ટક્કર થઈ રહી હોય.

સૂત્રો અનુસાર યેદિયુરપ્પાને નેતૃત્વ તરફથી વિશ્વાસ આપવામાં આવ્યો છે કે તેમના પુત્રને ક્ષમતા અનુસાર યોગ્ય સ્થાન મળશે. બસવરાજ બોમ્મઈની પસંદગીથી તેને બળ મળ્યુ છે.

(2:54 pm IST)