Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સંસદના ચોમાસુ સત્ર પહેલા કોંગ્રેસે કરી નવી નિમણૂકોઃ ચીફ વ્હિપ બદલ્યા : નારાજ નેતાઓની બાદબાકી

કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર તરફથી જારી કરેલા અધ્યાદેશો પર વિચાર માટે એક સમિતિની રચના કરી છે

નવી દિલ્હીઃ કોંગ્રેસે ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા દ્યણી નિમણૂકો કરી છે. પાર્ટીએ અત્યાર સુધી લોકસભામાં ઉપનેતાની નિમણૂક કરી નહતી પરંતુ હવે આ જવાબદારી ગૌરવ ગોગોઈને સોંપવામાં આવી છે. કોંગ્રેસે જયરામ રમેશને રાજયસભામાં પાર્ટીના ચીફ વ્હિપ બનાવ્યા છે. લોકસભામાં કે. સુરેશ આ ભૂમિકા નિભાવતા રહેશે. સંસદમાં ૧૦ સાંસદોની પેનલ બનાવવામાં આવી છે. તેમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, જયરામ રમેશ, અહમદ પટેલ, કેવી વેણુગોપાલ, અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઈ, કે સુરેશ, મનિકરામ ગૈગોર અને રવનીત સિંહ બિટ્ટુ સામેલ છે. હાલ અધીર રંજન ચૌધરી લોકસભામાં કોંગ્રેસના નેતા છે, જયારે કે. સુરેશ મુખ્ય વ્હિપ છે. ગોગોઈ પહેલા વ્હિપની ભૂમિકામાં હતા. આ સિવાય મણિકમ ટૈગોર પણ વ્હિપ છે.

કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર તરફથી જારી કરેલા અધ્યાદેશો પર વિચાર માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ગાંધી પરિવારના પાંચ નજીકના નેતાઓને જગ્યા આપવામાં આવી છે, જયારે વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માને તેમાંથી બહાર રાખવામાં આવ્યા છે. બે દિવસ પહેલા કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક દરમિયાન ગુલામ નબી આઝાદે લખેલા પત્રને લઈને હંગામો પણ થયો હતો.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલની સહી દ્વારા જાહેર થયેલી એક અખબારી યાદી અનુસાર, કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર મુખ્ય અધ્યાદેશો પર પાર્ટીના વલણ પર ચર્ચા કરવા અને તૈયાર કરવા માટે એક પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં જે નેતાઓને રાખવામાં આવ્યા છે, તેમાં પી ચિદમ્બરમ, દિગ્વિજય સિંહ, જયરામ રમેશ, ડો. અમર સિંહ અને ગૌરવ ગોગોઈ સામેલ છે. આ સમિતિના સંયોજનની જવાબદારી જયરામ રમેશને સોંપવામાં આવી છે. આ કમિટી કેન્દ્ર તરફથી જારી મુખ્ય અધ્યાદેશો પર ચર્ચા અને પાર્ટીના વલણને નક્કી કરવાનું કામ કરશે.

(11:40 am IST)