Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ડેબિટ કાર્ડ પેમેન્ટ, ચેકબુક, પેન્શન ઓકટોબરથી બદલાશેઃ પાંચ નિયમો

૩ દિવસ બાદ એટલે કે ૧ ઓકટોબરથી તમને ઘણા નવા ફેરફાર જોવા મળશે

નવી દિલ્હી, તા.૨૮: ૩ દિવસ બાદ એટલે કે ૧ ઓકટોબરથી તમને દ્યણા નવા ફેરફાર જોવા મળશે. જી હાં, ઓકટોબરની શરૂઆતમાં બેંક ચેકબુક અને સેલેરી સંબંધિત ઘણા નિયમોમાં બદલાવા જઇ રહ્યા છે. જેનો સીધો સંબંધ સામાન્ય માણસના રોજીંદા જીવન સાથે છે. તો આવો જાણીએ કયા નવા ફેરફાર થવા જઈ રહ્યા છે.

૧ ઓકટોબરથી ડિજીટલ લાઇફ સર્ટિફિટકેટ સાથે સંબંધિત નિયમ બદલાઈ રહ્યો છે. હવે દેશમાં તમામ વૃદ્ઘ પેન્શનર્સ જેની ઉંમર ૮૦ વર્ષ કે તેથી વધુ છે, તે દેશના તમામ હેડ પોસ્ટ ઓફિસના જીવન પ્રમાણ સેન્ટરમાં ડિજીટલ લાઇફ સર્ટિફિકેટ જમા કરી શકશે. તેના માટે ૩૦ નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. જીવન પ્રમાણ પત્ર જમા કરવાનું કામ પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ થવા જઈ રહ્યું છે. તેથી ભારતીય પોસ્ટ વિભાગે તે સુનિશ્ચિત કરવા માટે કહ્યું કે જીવન પ્રમાણ સેન્ટરનું આઇડી જો પહેલાથી જ બંધ હોય તો સમયસર એકિટવેટ કરાવી લે.

૧ ઓકટોબરથી ત્રણ બેંકોની ચેકબુક અને MICR કોડ ઈનવેલિડ થઇ જશે. આ બેંક છે- ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC), યૂનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા (United Bank of India) અને અલાહાબાદ બેંક (Allahabad Bank). આપને જણાવી દઇએ કે આ એ બેંકો છે, જેને હાલમાં અન્ય બેંક સાથે મર્જ કરવામાં આવી છે. બેંકો મર્જ થવાથી ખાતાધારકના એકાઉન્ટ નંબર, IFSC અને MICR કોડમાં બદલાવ થવાના કારણે ૧ ઓકટોબર, ૨૦૨૧થી બેંકિંગ સિસ્ટમ જૂના ચેકને રિજેકટ કરશે. આ બેંકોની તમામ ચેકબુક અમાન્ય થઇ જશે.

૧ ઓકટોબરથી તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડથી થતી ઓટો ડેબિટ માટે RBI નો નવો નિયમ લાગૂ થશે. જે અંતર્ગત ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કે મોબાઇલ વોલેટ દ્વારા થતા અમુક ઓટો ડેબિટ ત્યાં સુધી નહીં થાય, જયાં સુધી ગ્રાહક પોતાની મંજૂરી ન આપે. ૧ ઓકટોબર, ૨૦૨૧થી લાગુ થનાર additional Factor Authentication નિયમ અનુસાર બેંકોએ કોઇ પણ ઓટો ડેબિટ પેમેન્ટ દ્વારા ખાતામાંથી પૈસા ડેબિટ કરવાની અનુમતિ આપવા માટે ગ્રાહકને ૨૪ કલાક પહેલા એક નોટિફિકેશન આપવી પડશે. ગ્રાહકના ખાતામાંથી પૈસા ત્યારે ડેબિટ થશે, જયારે તે તેને કન્ફર્મ કરશે. આ નોટિફિકેશન તમને એસએમએસ કે ઈ-મેલ દ્વારા મળી શકે છે.

માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) હવે મ્યૂચ્યુઅલ ફંડ રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખી એક નવો નિયમ લઇને આવ્યું છે. આ નિયમ એસેટ અંડર મેનેજમેન્ટ (AMC) એટલે કે મ્યૂચ્યુઅલ ફંડ હાઉસમાં કામ કરતા જૂનિયર કર્મચારીઓ પર લાગૂ થશે. એસેટ અંડર મેનેજમેન્ટ કંપનીઓ અનુસાર, જૂનિયર કર્મચારીઓને ૧ ઓકટોબર ૨૦૨૧થી પોતાની ગ્રોસ સેલેરીનો ૧૦ ટકા ભાગ મ્યૂચ્યૂઅલ ફંડના યૂનિટ્સમાં રોકાણ કરવો પડશે. જયારે ૧ ઓકટોબર, ૨૦૨૩ સુધી ફેઝવાઇઝ તે સેલરીનો ૨૦ ટકા થઇ જશે. તેને સેબીએ સ્કિન ઈન ધ ગેમ નિયમ કહ્યો છે. આ રોકાણમાં લોક ઇન પીરિયડ પણ હશે.

૧ ઓકટોબરથી દિલ્હીમાં પ્રાઇવેટ દારૂની દુકાનો બંધ થઇ જશે. ૧૬ નવેમ્બર સુધી માત્ર સરકારી દુકાનો પર દારૂનું વેચાણ થશે. ડે. સીએમ મનીષ સિસોદિયાએ જણાવ્યું કે નવી એકસાઇઝ નિતી અંતર્ગત રાજધાનીને ૩૨ ઝોનમાં વહેંચીને લાઇસન્સ પ્રદાન કરવાની પ્રક્રિયા કરાઈ છે. હવે ૧૭ નવેમ્બરથી નવી નીતિ અંતર્ગત દુકાનો ખુલશે.

(10:32 am IST)