Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પાક.માં ૧૨ આતંકી સંગઠનોને આશ્રય, ૫નાં ટાર્ગેટ પર ભારત

કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસના એક રિપોર્ટમાં ઘટસ્ફોટ : આ રિપોર્ટ અમેરિકામાં ક્વાડ દેશોના વડાઓ વચ્ચે યોજાયેલી બેઠક દરમિયાન જાહેર કરવામાં આવ્યો

વૉશિંગ્ટન, તા.૨૮ : અમેરિકન સંસ્થા કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસના એક રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, વિશ્વમાં જેટલા આતંકી સંગઠનો સક્રિય છે તે પૈકીના ૧૨ એવા છે જેને પાકિસ્તાનમાં આશ્રય અપાયેલો છે.આ પૈકીના પાંચ સંગઠનોના ટાર્ગેટ પર ભારત છે. આ સંસ્થાએ ખુલાસો કર્યો છે કે, લશ્કર એ તૈયબા, જૈશ એ મહોમ્મદ જેવા સંગઠન ભારતને પોતાનો ટાર્ગેટ બનાવવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે. અમેરિકાના અધિકારીઓએ પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનોના બેઝની પણ ઓળખ કરી છે.

જેમાંથી કેટલાક સંગઠનો તો ૧૯૮૦થી સક્રિય છે. આ રિપોર્ટ અમેરિકામાં ક્વાડ દેશોના વડાઓ વચ્ચે યોજાયેલી બેઠક દરમિયાન જાહેર કરાયો હતો અને તેમાં કહેવાયુ છે કે, પાકિસ્તાનમાં સક્રિય કેટલાક સંગઠનો એવા છે જે આખી દુનિયાને ટાર્ગેટ બનાવવા માંગે છે તો કેટલાક સંગઠનોના નિશાના પર અફઘાનિસ્તાનની જમીન છે તો પાંચ સંગઠનોના નિશાના પર ભારત અને ખાસ કરીને કાશ્મીર છે.

આ પાંચ સંગઠનો પૈકી લશ્કર એ તૈયબા ૧૯૮૦માં બનાવાયુ હતુ અને ૨૦૦૧માં તેનો વૈશ્વિક આતંકી સંગઠન જાહેર કરાયુ હતુ.આ સંગઠને ૨૦૦૮માં મુંબઈમાં હુમલો કર્યો હતો.

જૈશ એ મહોમ્મદની સ્થાપના ૨૦૦૨માં અઝહર મસૂદે કરી હતી.જે ભારતમાં કાશ્મીરમાં સક્રિય છે. હરકત ઉલ જિહાદ ઈસ્લામી ૧૯૮૦માં બન્યુ હતુ અને સોવિયેત સેના સામે અફઘાનિસ્તાનમાં લડવા માટે તેની સ્થાપના કરાઈ હતી.જોકે ૨૦૧૦માં તેને વૈશ્વિક આતંકી સંગઠન જાહેર કરાયુ હતુ.૧૯૮૯ પછી તેણે ભારતમાં કાશ્મીરમાં હુમલા શરુ કર્યા હતા.

 હિઝબુલ મુઝાહીદ્દીનની સ્થાપના ૧૯૮૯માં રાજકીય પાર્ટી તરીકે થઈ હતી.આ સંગઠન દ્વારા સંખ્યાબંધ આતંકી હુમલા કરાયા હતા.

(9:09 pm IST)