Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

રાતના રૃપિયા ૫૦૦ ચૂકવી અનુભવ માટે જેલના કેદી બની શકાશે

ઉત્તરાખંડની હલ્દ્વાની જેલના વહીવટી તંત્રની પહેલ : કોઈને ગુનો કર્યા વગર જેલમાં એક રાત કાઢવી હોય તો જેલ દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થા પ્રમાણે પૂર્ણ કરી શકશે

હલ્દાની, તા.૨૮ : જો તમે એવું વિચારતા હોય કે તમારા ગ્રહો ખરાબ છે અથવા કોઈ જ્યોતિષે તમને કહ્યું હોય કે તમારા કુંડળીમાં દોષ છે અને તમે જેલ જઈ શકો છો તો ચિંતા ના કરશો. આ સમસ્યાનો ઉપાય તમારા હાથમાં છે. ઉત્તરાખંડની હલ્દ્વાની જેલના વહીવટી તંત્રએ એક એવી શરુઆત કરી છે કે જેમાં વ્યક્તિ ૫૦૦ રૃપિયા એક રાતના આપીને કેદી બની શકે છે અને અહીં જેલમાં રહેવાનો કેવો અનુભવ હોય છે તે જાણી શકે છે. સામાન્ય રીતે લોકોને મોટી હોટલ, ક્લબ કે રિસોર્ટમાં એક રાત રોકાવાનો અનુભવ કરવાની ઈચ્છા હોય છે, પરંતુ જો કોઈને ગુનો કર્યા વગર જેલમાં એક રાત કાઢવી હોય તો તેવી ઈચ્છા પણ હલ્દ્વાની જેલ દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થા પ્રમાણે પૂર્ણ કરી શકશે.

જેલના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ સતીષ સુખીજા જણાવે છે કે, હલ્દ્વાની જેલ ૧૯૦૩માં બની હતી અને તેના એક ભાગમાં ૬ સ્ટાફ ક્વાર્ટર્સ સાથે જૂના શસ્ત્રાગારનો સમાવેશ થાય છે, તે જગ્યાએ હવે 'જેલ મહેમાનો'ને આમંત્રણ આપવા માટે તૈયાર છે. તેમણે આગળ જણાવ્યું કે, વારંવાર વરિષ્ઠ અધિકારીઓ તરફથી 'આદેશ' મળતા રહ્યા છે કે જેલના બેરેકમાં લોકોને થોડો સમય વિતાવવાની મંજૂરી આપવામાં આવે. ગુનેગાર નથી છતાં જેઓ જેલનો અનુભવ કરવા માગે છે તેમને જેલના કપડા પહેરાવીને જેલના રસોડામાં બનેલું ભોજન પીરસવામાં આવે છે.

ઉત્તરાખંડની હલ્દ્વાની જેલ હવે કેદી તરીકેનું જીવન જીવવાની ઈચ્છા રાખતા અને જેલ જેવો અનુભવ કરવા માગતા લોકો માટે ખુલ્લી મૂકાઈ છે. ઘણી વખત જ્યોતિષ દ્વારા જેલમાં જવાના યોગ અંગે જણાવવામાં આવે છે તેને પણ અહીં લોકો આવી શકે છે અને 'પ્રવાસી' કેદી તરીકે બેરેકમાં રહી શકે છે. જેલ અધિકારી જણાવે છે કે, *મોટા ભાગે અહીં એવા લોકો આવે છે કે જેમનું ભવિષ્ય ભાંખીને જ્યોતિષે ગ્રહો પ્રમાણે જોયું હોય કે તેમના જીવનમાં જેલ યોગ લખેલો છે, અને તેને પૂર્ણ કરવા માટે તેઓ અહીં આવે છે. હવે વ્યક્તિ આ ડમી જેલમાં રહેવા માગતી હોય તો તેમના માટે આ સુવિધા ઉભી કરવામાં આવી છે, જ્યાં આવનારી વ્યક્તિ ૫૦૦ રૃપિયા ભરીને એક રાત જેલનો અનુભવ કરી શકે છે.*

શહેરના એક જ્યોતિષ મૃત્યુંજય ઓઝા જણાવે છે કે, *જ્યારે કોઈ વ્યક્તિની કુંડળી કે જન્મ કુંડળીમાં શનિ અને મંગળ સહિત ત્રણ ખગોળીય પિંડ પ્રતિકૂળ સ્થિતિમાં હોય છે, તો એક એવું સમીકરણ બને છે જે ભવિષ્યવાણી કરે છે કે તે વ્યક્તિને જેલમાં જવું પડશે. જેથી ગ્રહોની આવી સ્થિતિ બનતી હોય તે વ્યક્તિને અમે જેલમાં એક રાત વિતાવવાની અને કેદીઓનું ભોજન લેવાની સલાહ આપીએ છીએ, જેથી ગ્રહોની સ્થિતિનો જે ખરાબ પ્રભાવ બન્યો છે તે દૂર થઈ જાય.* જેલના સુપ્રિટેન્ડન્ટ સતીષ સુખીજા કહે છે કે, *મે અગાઉ પર જેલના ઈન્સ્પેક્ટર જનરલ સમક્ષ આ અંગે રજૂઆત કરી હતી. તેમણે (પુષ્પક જ્યોતિ) આ વાતના વખાણ કરવાની સાથે વિસ્તૃત રિપોર્ટ સોંપવા માટે પણ જણાવ્યું હતું.

(7:33 pm IST)