Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

બિહારમાં વરસાદ વચ્ચે વિજળી ત્રાટકી : સાતનો ભોગ લીધો

બિહારના ભાગલપુર જિલ્લામાં વિજળી પડવાથી છ લોકો માર્યા ગયા જ્યારે આલમનગરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું : શહેરોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા: નિચાણ વાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુસ્‍યા

પટના : ઉત્તર ભારતમાં ભિષણ ગરમી વચ્ચે કેટલાક રાજ્યોમાં હવામાને પલટો માર્યો હતો અને ભારે વરસાદ પડયો હતો. બિહારમાં વરસાદ વચ્ચે વિજળી પડવાની ઘટનામાં કુલ સાત લોકો માર્યા ગયા હતા. આ ઘટના બિહારના ભાગલપુર જિલ્લામાં સામે આવી હતી, જ્યાં વિજળી પડવાથી છ લોકો માર્યા ગયા હતા જ્યારે આલમનગરમાં પણ આ જ પ્રકારની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

બિહારમાં કેટલાક શહેરોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા. જેથી નિચાણ વાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. જેથી વિજળી ગુલ થઇ ગઇ હતી.  ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હોવાથી નવગછિયામાં મકાનો પર વૃક્ષો પડવાથી ભારે નુકસાન થયું હતું. ભાગલપુરમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. બીજી તરફ અનેક રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે. જેને પગલે કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દિલ્હીમાં પણ વરસાદી વાતાવરણ છવાયું છે. દિલ્હીમાં ૨૭મીએ ચોમાસાની શરૂઆતનું અનુમાન હતું જોકે તેમ નથી થયું. જ્યારે કેરળમાં આગામી બે દિવસમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે.

સેટેલાઇટની તસવીરો મુજબ કેરળ તટ અને દક્ષિમ પૂર્વ અરબ સમુદ્રમાં વાદળો છવાયેલા જોવા મળ્યા છે. જેથી આગામી બે ત્રણ દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. કેરળની સાથે જ આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડ્ડુચેરી, કરાઇકલમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે આગામી ચાર દિવસમાં જમ્મુ કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં પણ વરસાદની શક્યતાઓ છે.

(11:59 am IST)