Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

યુપીના બહરાઈચ-લખીમપુર ખેરી હાઈવે પર ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે ગંભીર અકસ્માત:7 લોકોના મોત : 9 ઘાયલ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી: જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશ આપ્યા

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતમાં સાત યાત્રાળુઓના મોત થયા છે. જ્યારે 9 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. મૃતકોના આત્માની શાંતિની કામના કરતી વખતે મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશ આપ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બહરાઈચ-લખીમપુર ખેરી હાઈવે પર આજે સવારે ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર તમામ શ્રદ્ધાળુઓ કર્ણાટકના રહેવાસી છે. જેઓ ઉત્તરાખંડથી દર્શન કરીને કાશી જઈ રહ્યા હતા.

મોતીપુરના એસએચઓ મુકેશસિંહે જણાવ્યું કે માહિતી મળી હતી કે બહરાઈચ-લખીમપુર રોડ પર સ્થિત નૈનીહા પાસે ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર સામસામે અથડાયા હતા. ટક્કર વધુ તીવ્ર બનવાને કારણે ટેમ્પો ટ્રાવેલર ફંગોળાઈ ગયો હતો. 7 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સ્થળ પર હાજર છે

(9:06 pm IST)