Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

સિઝેરિયન વખતે કાતર રહી જતાં મહિલાને ૬.૫ લાખ ચુકવવા આદેશ

ભૂલ કરનારા ડૉક્ટર સામે મહિલાની કાયદાકીય લડત : ૧ લાખ રૃપિયા બેદરકારી બદલ, ૪ લાખ માનસિક પરેશાની બદલ અને ૫૦ હજાર મહિલાને થયેલા કાયદાકીય ખર્ચા પેટે ચૂકવવાનો આદેશ

જબલપુર,તા.૨૯ : ઘણીવાર સર્જરી દરમિયાન ડૉક્ટરો પેશન્ટના શરીરમાં કોટનથી લઈને બ્લેડ કે કાતર જેવી વસ્તુઓ ભૂલી જતા હોય છે, જેના કારણે દર્દીને ભારે હેરાનગતિ ભોગવવાનો વારો આવતો હોય છે. આવી જ એક ઘટનામાં એક મહિલા દર્દીના પેટમાં કાતર ભૂલી ગયેલા ડૉક્ટર સામે કડક વલણ અપનાવતા ગ્રાહક સુરક્ષા અદાલતે દર્દીની તરફેણમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ઘટના વર્ષો જૂની છે, અને ડૉક્ટરને પાઠ ભણાવવા માટે મહિલા દર્દીએ ૧૨ વર્ષ કાયદાકીય લડાઈ લડવી પડી હતી.

આ કેસની વિગત એવી છે કે, મધ્યપ્રદેશના જબલપુરની રહેવાસી એક મહિલાને સિઝેરિયનથી ડિલિવરી થઈ હતી. જોકે, સર્જરી બાદ પણ તેને છ મહિના સુધી અસહ્ય દુઃખાવો થઈ રહ્યો હતો તેમજ સતત લોહી પણ નીકળતું હતું. જ્યારે દર્દીની તપાસ કરવામાં આવી ત્યારે સિઝેરિયન દરમિયાન તેમના પેટમાં કાતર રહી ગઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આખરે મહિલાએ તેનું સિઝેરિયન કરનારા ડૉક્ટર સામે કેસ કર્યો હતો અને વળતરની માગ કરી હતી. જિલ્લા ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ ચાલ્યા બાદ ૧૨ વર્ષ પછી કોર્ટે ડૉક્ટરને ૬.૫ લાખ રુપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. જેમાં ૧ લાખ રુપિયા બેદરકારી બદલ, ચાર લાખ રુપિયા દર્દીને ભોગવવી પડેલી માનસિક પરેશાની બદલ અને ૫૦ હજાર રુપિયા તેમને થયેલા કાયદાકીય ખર્ચા પેટે ચૂકવવાનો આદેશ કરાયો હતો.

આ મામલે પેશન્ટ મંજુ કુશવાહાએ જણાવ્યું હતું કે, તેમણે ૨૦૦૫માં દીકરાને જન્મ આપ્યો હતો જ્યારે ૨૦૦૯માં તેમને સરકારી હોસ્પિટલમાં સિઝેરિયનથી દીકરી જન્મી હતી. ડિલિવરી બાદ ડિસ્ચાર્જ મળી ગયા પછી પણ તેમને સતત બ્લિડિંગ થતું હતું અને પેટમાં અસહ્ય દુઃખાવો પણ થતો હતો. તેઓ જે ડૉક્ટરે તેમની સર્જરી કરી હતી તેને ફરી બતાવવા ગયા હતા. જોકે, ડૉક્ટરે યોગ્ય ચેકઅપ કરવાને બદલે તેમને દવા આપીને ઘરે પાછા મોકલી દીધા હતા. ડૉક્ટરે લખેલી દવાથી કોઈ ફરક ના પડતા આખરે મંજુ કુશવાહા બીજા એક ડૉક્ટરને બતાવવા ગયા હતા, પરંતુ તે પણ મૂળ સમસ્યાનું નિદાન નહોતા કરી શક્યા.

ડૉક્ટરોએ લખેલી પેઈન કિલરથી તેમને થોડો સમય રાહત રહેતી, પરંતુ દવાની અસર ઓસરતા જ ફરી અસહ્ય દુઃખાવો શરુ થઈ જતો હતો. જ્યારે તમામ ડૉક્ટરોએ તેમને કોઈ સમસ્યા નથી તેવું નિદાન કર્યું ત્યારે તેમના પરિવારના લોકો પણ એવું માનતા થઈ ગયા હતા કે ઘરના કામ ના કરવા પડે તે માટે તેઓ બહાના બનાવી રહ્યા છે. આ બધાથી કંટાળેલા મંજુ કુશવાહાએ આ મામલે આખરે પોતાના ભાઈને વાત કરી, અને તે તેમને ભોપાલ લઈ ગયો. જ્યાં તેમની સોનોગ્રાફી કરવામાં આવતા તેમના પેટમાં ૧૪ સેન્ટીમીટરની કાતર હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આખરે ફરી તેમના પર સર્જરી કરીને આ કાતરને બહાર કાઢવામાં આવી હતી.

 

(8:05 pm IST)