Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ગુજરાતમાં ભારતીય નૌસેના નેવલ ઇન્સ્ટોલેશન્સની આસપાસમાં ઉડતા ડ્રોનને તોડી પાડશે

ત્રણ કિલોમીટરનો પરીઘ વિસ્તાર “નો ફ્લાય ઝોન" તરીકે નિર્ધારિત કરાયો છે

નવી દિલ્હી :  ભારતીય નૌસેના નેવલ ઇન્સ્ટોલેશન્સની આસપાસમાં ઉડતા ડ્રોનને તોડી પાડશે અને નિષ્ક્રિય કરશે. ગુજરાતમાં નેવલ ઇન્સ્ટોલેશન્સની આસપાસમાં ત્રણ કિલોમીટરનો પરીઘ વિસ્તાર “નો ફ્લાય ઝોન" તરીકે નિર્ધારિત કરવામાં આવેલો છે. તમામ વ્યક્તિગત/નાગરિક ઉડ્ડયન એજન્સીઓને કોઇપણ કારણોસર આ ઝોનમાં તેમના હવાઇ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ડ્રોનના ઉપયોગનું સંચાલન સમય સમયે થતા ફેરફાર સાથે ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવે છે. કોઇપણ પૂર્વનિર્ધારિત ઉડાન કામગીરીના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલાં ડિજિ સ્કાય વેબસાઇટ (www.dcga.nic.in) મારફતે નાગરિક ઉડ્ડયન મહાનિદેશક (DCGA)ની મંજૂરી મેળવવામાં આવે છે અને આ મંજૂરી પત્રની એક નકલ ગુજરાત, દમણ અને દીવ નૌસેના વિસ્તાર હેડર્વાર્ટર/ સંબંધિત નૌસેના સ્ટેશનને સબમિટ કરવામાં આવે છે.

ભારતીય નૌસેના આ વિસ્તારોમાં અગાઉથી મંજૂરી લીધા વગર જો કોઇપણ એરિયલ ડ્રોન અથવા માનવરહિત એરિયલ વાહન (UAV) ઉડાવવામાં આવે તો તેને જપ્ત અથવા નાશ કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે. આ માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરનારા ઓપરેટરો કાયદામાં આપવામાં આવેલી સંબંધિત જોગવાઇઓ અંતર્ગત કાનુની કાર્યવાહી માટે જવાબદાર રહેશે.

(12:00 am IST)