Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

હવે નોન-બેંકિંગ સંસ્થાઓ પણ RTGS અને NEFT સુવિધા ઉપલબ્ધ કરાવશે

અત્યાર સુધી ફકત બેંકોને આરટીજીએસ અને એનઇએફટી પેમેન્ટની સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી છે

મુંબઇ, તા.૨૯: રિઝર્વ બેંક (RBI) એ નોન-બેંકોને તેની સેન્ટ્રલાઇઝડ પેમેન્ટ સિસ્ટમ (CPC) જેવી કે રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) અને નેશનલ ઇલેકટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) સિસ્ટમમાં જોડાવાની મંજૂરી આપી છે. રિઝર્વ બેન્કનું કહેવું છે કે તેનો તબક્કાવાર અમલ કરવામાં આવશે.

RBIએ એપ્રિલમાં જ કહ્યું હતું કે નોન-બેંકોને આરટીજીએસ, એનઈએફટી જેવા સીપીએસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ તબક્કાવાર રીતે અમલ થશે. અત્યાર સુધી ફકત બેંકોને આરટીજીએસ અને એનઇએફટી પેમેન્ટની સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી છે. રિઝર્વ બેંક પેમેન્ટ સિસ્ટમની એકસેસ વધારીને ડિજિટલ પેમેન્ટને વેગ આપવાનો પ્રયાસ કરી રહી છે.

RBI એ તેના તાજેતરના પરિપત્રમાં જણાવ્યું છે કે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) ઇશ્યુઅર્સ, કાર્ડ નેટવર્ક, વ્હાઇટ લેબલ ATM ઓપરેટર્સને CPS માં પ્રથમ તબક્કામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. આરબીઆઈ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાલની વ્યવસ્થાઓની સમીક્ષા અને પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર્સ (PSP) સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી સૂચન કરવામાં આવ્યું છે કે પ્રથમ તબક્કામાં, PPI ઇશ્યુ કરનારા, કાર્ડ નેટવર્ક અને વ્હાઇટ લેબલ જેવા અધિકૃત નોન-બેંક પી.એસ.પી. એટીએમ ઓપરેટરો તેના સીધા સભ્યો હશે. આનો અર્થ એ છે કે આ સંસ્થાઓ તેમના ગ્રાહકોને NEFT અને RTGS જેવી સુવિધાઓ પૂરી પાડી શકશે.

બેંકો ઉપરાંત અત્યાર સુધી માત્ર કેટલીક ગણતરીની બિન-બેંકોને સીપીએસમાં જોડાવાની મંજૂરી આપવામાં આવી હતી. નોન-બેંકોને કે જેઓને સીપીસીને સભ્યપદ અથવા પ્રવેશ આપવામાં આવ્યો છે તેમાં પ્રાથમિક ડીલરો, સ્ટોક એકસ્ચેન્જોના કિલયરિંગ કોર્પોરેશનો, સેન્ટ્રલ કાઉન્ટર પાર્ટીઝ, રિટેલ પેમેન્ટ સિસ્ટમ્સ સંસ્થા, NABARD, EXIM બેંક અને DICGC જેવી નાણાકીય સંસ્થાઓ સામેલ છે. સીધી પ્રવેશ મેળવનારા નોન-બેંકને એક અલગ આઈએફએસસી ફાળવવામાં આવશે જે કોર બેંકિંગ સિસ્ટમ (ઇ-કુબેર) માં રિઝર્વ બેંકમાં ચાલુ ખાતું ખોલી શકે છે અને આરબીઆઈ સાથે સેટલમેન્ટ એકાઉન્ટ જાળવી શકે છે.

આરબીઆઈએ કહ્યું કે નોન-બેંકિંગ સંસ્થાઓની સી.પી.એસ. સુધી સીધી પ્રવેશથી ચુકવણી પ્રણાલીમાં જોખમ ઓછું થશે. તે નોન-બેંકો માટે પણ ફાયદાકારક સાબિત થશે. આનાથી તેમની ચુકવણીની કિંમતમાં ઘટાડો થશે અને બેંકો પરની તેમની નિર્ભરતા ઓછી થશે. જયારે નોન-બેંકો સીધી ચુકવણી કરી શકે છે, ત્યારે ચુકવણી નિષ્ફળ થવાનું જોખમ દ્યટશે તેમજ ચુકવણીમાં વિલંબ થવાના કિસ્સા પણ ઘટશે.

(11:35 am IST)