Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મુસ્લિમ નથી બન્યો એ સાબિત કરવા ૨૦૦ કિમીની પદયાત્રા

વરસતા વરસાદમાં પણ યુવકે તેની પદયાત્રા જારી રાખી : બે મુસ્લિમ ધર્મગુરૂએ હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ બનનારાની યાદી બહાર પાડી જેમાં પ્રવીણ કુમારનું નામ પણ હતું

 

મેરઠ, તા.૨૯ : પોતે હિન્દુ છે, અને ધર્માંતરણ કરીને મુસ્લિમ નથી બન્યો તે વાતની સાબિતી આપવા હિંદુ યુવક ૨૦૦ કિલોમીટર ચાલીને સુપ્રીમ કોર્ટ જવા નીકળ્યો છે. વરસતા વરસાદ વચ્ચે યુપીના સહારનપુરથી પ્રવીણ કુમારે પોતાની પદયાત્રા શરુ કરી હતી. દિલ્હીના બે મુસ્લિમ ધર્મગુરુઓએ હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ બનનારા હજારો લોકોની યાદી બહાર પાડી હતી. જેમાં પીએચડી સ્કોલર પ્રવીણ કુમારનું નામ પણ હતું. જોકે, પોતાનું સમ્માન પરત મેળવવા માટે તેણે સુપ્રીમ કોર્ટ સુધી ચાલતા જવાનો નિર્ણય લીધો છે.

મામલે યુપી પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે પ્રવીણ કુમારની ગયા મહિને પૂછપરછ કરી હતી. જોકે, ત્યારબાદ તેને ક્લીનચીટ આપવામાં આવી હતી. પરંતુ તેના ગામના લોકો તેને હજુય તિરસ્કારભરી નજરે જોઈ રહ્યા છે. પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથ પર પુસ્તક લખનારા અને પોતાને રાષ્ટ્રવાદી ગણાવતા પ્રવીણ કુમારને સોશિયલ મીડિયા પર પણ લોકો પાકિસ્તાન ચાલ્યા જવા કહી રહ્યા છે. તમામ લોકોને જવાબ આપવા માટે તેણે અભિયાન હાથ ધર્યું છે.

પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે તે દેશને જણાવવા માગે છે કે હાલ તે કેવી સ્થિતિમાં પસાર થઈ રહ્યો છે. લોકો તેના ઘરના દરવાજે આતંકવાદી લખી ગયા છે, અને તેને મેસેજ કરીને પાકિસ્તાન જતા રહેવાની ધમકીઓ આપે છે. એક શુગર મિલમાં કામ કરતા પ્રવીણ કુમારે મંગળવારથી પોતાની પદયાત્રા શરુ કરી હતી. બુધવાર સાંજ સુધી તે ૩૨ કિમી ચાલીને મુઝફ્ફરનગર પહોંચ્યો હતો. ગુરુવારે સવારે ફરી ચાલવાનું શરુ કરતા પહેલા તેણે મુઝફ્ફરનગર રેલવે સ્ટેશન પર રાત વિતાવી હતી. ૩૨ વર્ષના યુવકને પોતાની પદયાત્રા ૧૧ દિવસમાં પૂરી થઈ જશે તેવી આશા છે. તેની માગ છે કે સુપ્રીમ કોર્ટ તેના પર લાગેલો બટ્ટો દૂર કરે. પ્રવીણના જણાવ્યા અનુસાર, તેના ધર્માંતરણ અંગેનું ફોટા સાથેનું ફેક સર્ટિ. કોઈએ વાયરલ કરી દીધું હતું જેમાં તેનું નામ અબ્દુલ સમદ જણાવાયું હતું. મામલો પોલીસ સુધી પહોંચતા ૨૩ જૂને પોલીસ તેના ઘરે આવી પહોંચી હતી.

મામલે ઈસ્લામિક દાવા સેન્ટરના ચેરપર્સન મુફ્તી કાઝી જહાંગીર કાસમી અને મોહમ્મદ ઉમર ગૌતમ સામે કેસ કરવામાં આવ્યો છે. ગાઝિયાબાદના દાસના દેવી મંદિરના યતિ નરસિંહનંદ સરસ્વતીની હત્યા કરવાના કાવતરાંના કેસમાં પકડાયેલા બે આરોપીઓની પૂછપરછમાં તેમના નામ બહાર આવ્યા હતા. મંદિરમાં પાણી પીવા માટે ગયેલા એક મુસ્લિમ છોકરાને માર મારવામાં આવ્યો હતો અને મામલો સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બન્યો હતો.

(7:10 pm IST)